ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે રખિયાલ પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા 12 વર્ષની સગીરાના અપહરણ અને બળાત્કારના ગુનામાં સંડોવાયેલા નરાધમ આરોપી કિશનકુમાર કાળાજી પગીને 20 વર્ષની સખત કેદ તેમજ 20 હજારનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત ભોગ બનનાર સગીરાને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.
લગ્નની લાલચ આપીને ભગાડી ગયો અને દુષ્કર્મ આચર્યું હતું
આ સમગ્ર કેસની વિગત એવી છે કે વર્ષ 2021માં અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના માથાસુલીયા ગામના નવી વસાહત ખાતે રહેતા આરોપી કિશનકુમારે માત્ર 12 વર્ષ અને 2 માસની સગીર વયની સગીરાને લલચાવી ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી હતી. આરોપી સગીરાની નાની ઉંમર અને અનુસૂચિત જનજાતિની હોવાનું જાણવા છતાં 26 જુલાઈ 2021ની રાત્રે સામેત્રી ગામની સીમમાંથી ભગાડી ગયો હતો.
રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, ચાર્જશીટ કોર્ટમાં २०
ત્યારબાદ આરોપીએ સગીરાને પોતાના ગામની સીમમાં રાખી અવારનવાર તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારીને ગંભીર પ્રકારનો ગુનો આચર્યો હતો. આ ઘટના સંદર્ભે ભોગબનનારના મોટા ભાઈએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યું હતું.
વકીલની દલીલ ને કોર્ટનો ચુકાદો
જે કેસ ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં બીજા એડિશનલ સેશન્સ જજ એસ. વી. શર્મા સમક્ષ ચાલવા ઉપર આવ્યો હતો. જેની સુનાવણી દરમિયાન સરકાર તરફે હાજર રહેલા સરકારી વકીલ સુનિલ એસ. પંડ્યાએ દલીલ કરી હતી કે આરોપીએ માત્ર 12 વર્ષની અણસમજુ કન્યા સાથે આવું અમાનુષી કૃત્ય આચર્યું છે, જે અત્યંત ગંભીર છે. સમાજમાં દિન-પ્રતિદિન વધતા જતા આવા ગુનાઓ અટકાવવા માટે અને લોકોમાં કાયદાનો ડર ઊભો થાય તે હેતુથી આરોપીને કડકમાં કડક સજા થવી અનિવાર્ય છે.
