ઈતિહાસ ફક્ત પુસ્તકોમાં રહેતો નથી,તે આપણા વારસાના સ્થળો, સ્મારકો અને એ નિશાનીઓમાં શ્વાસ લે છે જે પાછલા યુગની કહાનીઓ સંભળાવે છે. મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં આવેલો નરવર કિલ્લો એક એવો ઐતિહાસિક ધરોહર છે જે સદીઓના ઇતિહાસનો સાક્ષી છે. જો કે, આ કિલ્લા પરથી એ સમાચાર સામે આવ્યા છે, જેણે સુરક્ષા વ્યવસ્થા અને પુરાતત્વીય સંપત્તિના સંરક્ષણ બંને અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
સિંધિયા રાજવંશની 500 વર્ષ જૂની અને ઐતિહાસિક રીતે મહત્ત્વપૂર્ણ લગભગ 3000 કિલો વજનની તોપને સશસ્ત્ર બદમાશોએ અંધારાના આડમાં ચોરી કરી. સૌથી હેરાન કરનારી વાત એ છે કે ગુનેગારો સંપૂર્ણપણે તૈયારી સાથે આવ્યા હતા; તેઓએ સુરક્ષા કર્મચારીઓને ધમકી આપીનેચોરીની આ ઘટનાને સરળતા અંજામ આપી ફરાર થઇ ગયા.
અહેવાલો અનુસાર, 15-16 જુલાઈની રાત્રિ દરમિયાનલગભગ 25-30 સશસ્ત્ર બદમાશો નરવર કિલ્લામાં ઘૂસી ગયા. તેઓ કિલ્લાના ખુલ્લા કચેરી સંકુલમાં રાખવામાં આવેલી 14 ઐતિહાસિક તોપોમાંથી એક લઈ ભાગી. એવું કહેવાય છે કે બદમાશોએ સ્થળ પર હાજર સુરક્ષા કર્મચારીઓને ડરાવ્યા હતા અને જે કોઈ પ્રતિકાર કરશે તેને પતાવી દેવાની ધમકી આપી હતી. ઘટના પછી પરિસરમાં ફક્ત 13 તોપો જ બચી છે.
આ ઘટનાનું સૌથી ચિંતાજનક પાસું એ છે કે કિલ્લાની આસપાસ અગાઉ શંકાસ્પદ પ્રવૃત્તિઓ જોવા મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 12 દિવસ પહેલા બનેલી ઘટનાઓને સુરક્ષાના દૃષ્ટિકોણથી ગંભીરતાથી લેવી જોઈતી હતી; જોકે, ન તો સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો અને ન તો વધારાની દેખરેખના પગલાં અમલમાં મૂકવામાં આવ્યા હતા.
તપાસમાં જાણવા મળ્યું છે કે ગુનેગારો સંપૂર્ણ તૈયારી સાથે કિલ્લા પર પહોંચ્યા હતા. ભારે-ભરકમ તોપને લઇ જવી સરળ નહોતી, તેથી તેઓ ક્રેન અને ટ્રક જેવા લોડિંગ વાહનો સાથે લાવ્યા હતા. તેઓ પાછળના માર્ગે કિલ્લામાં ઘૂસ્યા અને યોજના મુજબ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો.
ઘટનાના સમયે ફરજ પર રહેલા સુરક્ષા ગાર્ડ બાલકિશને જણાવ્યું કે કેવી રીતે મોટી સંખ્યામાં સશસ્ત્ર વ્યક્તિઓ અચાનક સ્થળ પર આવી પહોંચ્યા. તેમની પાસે આધુનિક શસ્ત્રો હતા, જ્યારે સુરક્ષા કર્મચારીઓ પાસે ફક્ત લાકડીઓ હતી. ઘટનાસ્થળે પૂરતી લાઇટ પણ નહોતી, અને ટોર્ચ જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ નહોતી. બદમાશોએ પતાવી દેવાની ધમકી આપી, જેને કારણે પોતાનો જીવ બચાવવા માટે પીછેહઠ કરવાની ફરજ પડી હતી.
ચોરાયેલી ઐતિહાસિક તોપ શા માટે મહત્ત્વપૂર્ણ છે?
નરવર કિલ્લામાંથી ચોરાયેલી તોપ ફક્ત એક જૂની ધાતુની રચના નથી; તેને ભારતીય લશ્કરી ઇતિહાસનો એક મહત્ત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. નિષ્ણાતો અનુસાર આ તોપ 16મી સદીની છે, અને તે યુગની અદ્યતન ધાતુશાસ્ત્ર તકનીકો અને યુદ્ધ કુશળતાનું ઉદાહરણ છે. તેની અનન્ય કોતરણી અને ઐતિહાસિક નિશાન તેને દુર્લભ કલાકૃતિ બનાવે છે.
ઐતિહાસિક વારસાનું સાચું મૂલ્ય માપી શકાતું નથી, કારણ કે તેનું મહત્ત્વ નાણાકીય મૂલ્ય કરતાં ઘણું વધારે છે. જોકે, પ્રાચીન વસ્તુઓના આંતરરાષ્ટ્રીય ગેરકાયદે બજારમાંઆવી સદીઓ જૂની કલાકૃતિઓની કિંમત કરોડો રૂપિયામાં પહોંચી શકે છે. આ જ કારણ છે કે, પોલીસને આ કેસમાં આંતરરાષ્ટ્રીય તસ્કર ગેંગની સંડોવણીની શંકા છે.
આ ઘટના બાદ, પોલીસે અજાણ્યા આરોપીઓ સામે લૂંટ અને અન્ય સંબંધિત કાનૂની જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે. આસપાસના વિસ્તારોમાંથી CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ, સાયબર સેલની મદદથીએવા નેટવર્ક્સની તપાસ ચાલી રહી છે જે ઐતિહાસિક કલાકૃતિઓની તસ્કરની સાથે જોડાયેલા હોઈ શકે છે.
કરેરાના SDOP પ્રશાંત શર્માએ જણાવ્યું હતું કે કિલ્લામાંથી તોપની ચોરી અંગેનો અહેવાલ પ્રાપ્ત થયો છે, અને વિગતવાર તપાસ ચાલુ છે. આંતરરાષ્ટ્રીય તસ્કર ગેંગની સંડોવણીને નકારી શકાય નહીં. તો, રાજ્ય પુરાતત્વ વિભાગના નાયબ નિયામક તરુણ કુમાર મહોબિયાએ આ બાબતને અત્યંત ગંભીર ગણાવી છે. તેઓ નરવર કિલ્લાનું વ્યક્તિગત રીતે નિરીક્ષણ કરશે અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા અને પોલીસ અધિકારીઓ સાથે પરામર્શ કર્યા પછી, તોપને પુનઃપ્રાપ્ત કરવાના પ્રયાસોને વધુ તીવ્ર બનાવવા પર ભાર મૂકશે.
