Ahmedabad News: અમદાવાદના વસ્ત્રાલમાં રામોલ-ગતરાડ રોડ પર આવેલ ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ફટાકડા ફેક્ટરીમાં આગ લાગતા ફાયર બ્રિગેડની 5થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. સાથે જ એમ્બ્યુલન્સ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળ પર જવા રવાના થયા છે. આ દુર્ઘટનામાં 3 બાળકો સહિત 9 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.
લાઇસન્સ રદ થઈ ગયું હોવા ચાલી હતી ફેક્ટરી
અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 9 લોકોના મોત થયા હતા અને 10 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ફેક્ટરીનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હોવા છતાં, તે હજુ પણ મેહુલ ડોડિયા નામના વ્યક્તિના સંચાલન હેઠળ કાર્યરત હતું. ઘટનાના સમાચાર મળતાં, પાંચથી વધુ ફાયર બ્રિગેડની ટીમો મહેમૂદપુરા ટેલેન્ટ ફટાકડા ફેક્ટરીમાં સ્થળ પર દોડી ગઈ હતી. રામોલ પોલીસ સ્ટેશનમાં હત્યા ન ગણાતા સદોષ હત્યાનો કેસ નોંધવામાં આવશે. ગંભીર રીતે દાઝી ગયેલી બે છોકરીઓને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી; બંનેની હાલત ગંભીર છે.
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
સૂત્રોના જણાવ્યા મુજબ, આગ લાગી ત્યારે ફેક્ટરીમાં 8થી 10 લોકો હાજર હતા, જેમાંથી 5થી 7 લોકો ઘાયલ થતાં ચકચાર મચી ગઈ છે. હાલ ફાયર બ્રિગેડની 5થી વધુ ગાડીઓએ મોરચો સંભાળી લીધો છે. રહેણાંક અને સંવેદનશીલ ઝોનની નજીક આવેલી આવી ફેક્ટરીઓમાં સુરક્ષાના સાધનો હતા કે નહીં તે અંગે પણ આગામી સમયમાં તપાસ થઈ શકે છે. જવાનોએ ભારે જહેમત બાદ ફેક્ટરીમાં ફસાયેલા અને ગંભીર રીતે દાઝેલા 5થી 7 લોકોને હેમખેમ બહાર કાઢી લીધા હતા. જવાનોની આ તત્પરતાને કારણે એક મોટી જાનહાનિ ટળી ગઈ છે. હાલ તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે વસ્ત્રાલ RAF (રેપિડ એક્શન ફોર્સ) કેમ્પ પણ ધ્રૂજી ઊઠ્યો હતો. કેમ્પની બિલકુલ પાછળના ભાગે જ આ ફેક્ટરી આવેલી હોવાથી, બ્લાસ્ટનો અવાજ સાંભળતા જ RAFના જવાનો એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ઘટનાસ્થળે દોડી ગયા હતા.
માલિક સામે કડક કાર્યવાહી કરી છે. પોલીસે માલિક સામે માનવવધનો ગુનો નોંઘ્યો છે.
ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ મામલે હર્ષ સંઘવીનું નિવેદન
અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, આ ઘટના અંગે પોલીસ દ્વારા સ્થળ પર તપાસની સઘન કાર્યવાહી અત્યારે ચાલુ છે અને ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા તત્વોની અટકાયત પણ કરી લેવામાં આવી છે. DyCM હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું કે, આ ગંભીર ઘટના સંદર્ભે એક ઉચ્ચ સ્તરીય રિવ્યૂ બેઠક બોલાવવામાં આવી છે અને આ બેઠક પૂર્ણ થયા બાદ સમગ્ર મામલે વિસ્તૃત માહિતી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.ઘટના બાદ 6 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા
આજે એક ગંભીર ઘટના બાદ કુલ 6 દર્દીઓને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. પ્રાથમિક અહેવાલો મુજબ, આ ઘટનામાં એક મહિલાને મૃત હાલતમાં લાવવામાં આવી હતી. બાકીના 5 જીવિત દર્દીઓ (4 પુરુષ અને 1 મહિલા)ની સારવાર હેઠળ છે. જેમાં 2 લોકોની સ્થિત ગંભીર છે, જ્યારે 1ની સ્થિતિ મધ્યમ અને 2 લોકોની સ્થિર Stable છે.સેક્ટર 2 જેસીપી જયપાલસિંહ રાઠોડના જણાવ્યા અનુસાર, રામોલ-ગતરાડ રોડ ઉપર આવેલા RAF કેમ્પની પાછળ ખુલ્લા ખેતરમાં શેડ જેવું બનાવી મેહુલ ડોડીયા નામનો વ્યક્તિ ફટાકડાની ફેક્ટરી ચલાવતો હતો. આ વ્યક્તિનું ફટાકડાની ફેક્ટરીનું લાયસન્સ પહેલાથી જ રદ કરી દેવામાં આવેલું હતું, તેમ છતાં તેણે ફટાકડાની ફેક્ટરી ચાલુ રાખી હતી. 8 જેટલા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા સૌપ્રથમ RAFની ટીમ અને સ્થાનિક પોલીસ તેમજ ફાયરબ્રિગેડની ટીમો સ્થળ ઉપર પહોંચી હતી. રામોલ પોલીસ દ્વારા સમગ્ર મામલે એક્સપ્લોઝિવ એક્ટ અને અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવશે.
ફેક્ટરીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું હોવા છતાં આટલા સમય સુધી અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં કેમ ન લેવાયા, તે તંત્રની ઘોર બેદરકારી અને નબળા વહીવટ સામે ગંભીર સવાલો ઊભા કરે છે. લાયસન્સ રદ થયા પછી પણ આવી જોખમી ફેક્ટરી ધમધમતી રહી અને તંત્ર ઊંઘતું રહ્યું, જે દર્શાવે છે કે નિયમોનું પાલન કરાવવામાં ક્યાંક મોટી કચાસ રહી ગઈ છે. શું સ્થાનિક વહીવટીતંત્ર કે જવાબદાર વિભાગો દ્વારા કોઈ આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું ન હતું? ગેરકાયદેસર રીતે ચાલતી ફેક્ટરીઓ સામે સમયસર કડક પગલાં કેમ ન લેવાયા? 8 નિર્દોષ લોકોના મોતના જવાબદાર કોણ?
