ગાંધીનગરમાં સંત શિરોમણિ ગુરુ રવિદાસજી મહારાજના 650મા જન્મજયંતી વર્ષને સમર્પિત સમાગમ યોજાયો

Spread the love

*સંત શિરોમણિ ગુરુ રવિદાસજી મહારાજના સમરસતા અને સનાતનના મૂલ્યોને જીવનમાં આત્મસાત્ કરવાનું આહ્વાન કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*

*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે વિકાસની સાથે વિરાસત, આધ્યાત્મિક પરંપરા અને સાંસ્કૃતિક ગૌરવને પણ વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી છે- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*

….

*વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સમાજના અંતિમ વ્યક્તિ સુધી સરકારની યોજનાઓ કોઈપણ પ્રકારના જાતિ, ધર્મ કે પ્રદેશના ભેદભાવ વિના પહોંચી રહી છે- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*

*સંત શિરોમણિ ગુરુ રવિદાસજી મહારાજના 650મા જન્મજયંતી વર્ષ અવસરે રાષ્ટ્રીય સ્મારિકા- ગુજરાતનું વિમોચન*

….

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સંત શિરોમણિ ગુરુ રવિદાસજી મહારાજે સમગ્ર માનવજાતને સમરસતા, સમભાવ અને માનવતાનો જે અમૂલ્ય સંદેશ આપ્યો છે, તેને જીવનમાં ઉતારવો એ જ તેમની સાચી આરાધના છે. જો આપણે દરેક વ્યક્તિમાં ઈશ્વરનું દર્શન કરી શકીએ તો સમાજમાંથી ભેદભાવ અને વિખવાદ આપોઆપ દૂર થઈ જશે.

 

ગાંધીનગરમાં સંત શિરોમણિ ગુરુ રવિદાસજી મહારાજના 650મા જન્મજયંતી વર્ષને સમર્પિત સમાગમને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સનાતન પરંપરાની સૌથી મોટી વિશેષતા તેની સર્વસમાવેશકતા છે. સનાતન કોઈ એક વિચાર કે સંપ્રદાય પૂરતું મર્યાદિત નથી, પરંતુ સમગ્ર માનવતાને સાથે લઈને ચાલવાનો માર્ગ દર્શાવે છે. સમાજમાં સમરસતા અને સંવાદિતા સ્થાપિત કરવા માટે સંતોના વિચારોને આત્મસાત્ કરવાનું તેમણે જણાવ્યું હતું.

 

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે વિકાસની સાથે પોતાની વિરાસત, આધ્યાત્મિક પરંપરા અને સાંસ્કૃતિક ગૌરવને પણ વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી છે. કાશી વિશ્વનાથ કોરિડોર, મહાકાલ લોક, પાવાગઢ મહાકાળી મંદિર ખાતે ધ્વજારોહણ તેમજ સોમનાથ મંદિરના ગૌરવના પુનઃસ્થાપન જેવા અનેક કાર્યો દેશની સાંસ્કૃતિક ચેતનાને મજબૂત બનાવનારા છે.

 

તેમણે ઉમેર્યું કે વિકાસ ત્યારે જ ટકાઉ બની શકે જ્યારે તેની સાથે પ્રકૃતિનું સંવર્ધન અને સંસ્કૃતિનું જતન પણ કરવામાં આવે. કોરોના મહામારીના અનુભવોએ પ્રકૃતિનું મહત્વ વધુ સ્પષ્ટ કર્યું છે. તેથી જ વડાપ્રધાનશ્રીએ  બેક ટુ બેઝિક અને ‘એક પેડ માં કે નામ’ જેવા અભિયાનો દ્વારા પર્યાવરણ સંરક્ષણને જનઆંદોલન બનાવ્યું છે.

 

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે અંત્યોદયના મંત્રને સાકાર કરતાં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સમાજના અંતિમ વ્યક્તિ સુધી સરકારની યોજનાઓ કોઈપણ પ્રકારના જાતિ, ધર્મ કે પ્રદેશના ભેદભાવ વિના પહોંચી રહી છે. નિઃશુલ્ક અનાજ, આયુષ્માન ભારત યોજના, ઉજ્જ્વલા યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેક લોકકલ્યાણકારી યોજનાઓ દ્વારા સમાજના દરેક વર્ગને સમાન તકો મળી રહી છે.

 

મુખ્યમંત્રીશ્રીએ સૌને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સમરસતા, સામાજિક એકતા અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીના મૂલ્યો સાથે જોડાઈને કાર્ય કરવાની અપીલ કરી હતી. ગુજરાત વિકસિત ભારતના નિર્માણમાં અગ્રણી ભૂમિકા ભજવે તે માટે સૌના સહયોગ અને સંતોના આશીર્વાદ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું.

 

સંત શિરોમણિ ગુરુ રવિદાસજી મહારાજના 650મા જન્મજયંતી વર્ષને સમર્પિત સમાગમ અવસરે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રાષ્ટ્રીય સ્મારિકા- ગુજરાતનું વિમોચન કરાયું હતું.

 

આ પ્રસંગે પૂજ્ય નિર્મલ સંત ડૉ. સ્વામી રામેશ્વરાનંદજી, ધારાસભ્ય સર્વ શ્રી રમણલાલ વોરા, શ્રીમતી ભાનુબહેન બાબરીયા, શ્રી સી.જે. ચાવડા, પૂજ્ય મહામંડલેશ્વર 1008 લલિત કિશોર ચરણદાસજી મહારાજ, પૂજ્ય શેરનાથ બાપુ, પૂજ્ય મહામંડલેશ્વર 1008 મહેન્દ્રનાથ ગિરીજી મહારાજ, પૂજ્ય વિજય બાપુ, પૂજ્ય રાજેન્દ્રદાસજી મહારાજ, પૂજ્ય રામબાપુ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઉત્તર ક્ષેત્રના સહ-સંપર્ક પ્રમુખ શ્રી જસબીર સિંહજી, ગાંધીનગર વિભાગ સંઘચાલક શ્રી પ્રકાશભાઈ પરમાર, સંત શ્રી રોહિદાસ સેવા સમાજના અધ્યક્ષ શ્રી દિનેશકુમાર પરમાર, સંગત ઉદઘોષના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી બલજીત સિંહ સંધુ સહિતના સંત-મહંતો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *