ગાંધીનગર જિલ્લાના માણસા અને ગાંધીનગર તાલુકાને જોડતો અત્યાધુનિક સાદરા-અલુવા પુલ જનતા માટે ખુલ્લો મુકાવા તૈયાર છે. અંદાજે રૂપિયા 60 કરોડના ખર્ચે આધુનિક ઇજનેરી પદ્ધતિથી બનેલા આ પુલનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવશે.
મુસાફરીમાં 25 કિમીનો ઘટાડો: સમય અને ઇંધણની બચત થશે
આ નવા પુલના નિર્માણથી બંને તાલુકાના હજારો વાહનચાલકો અને નાગરિકોને સીધો મોટો ફાયદો થશે. અત્યાર સુધી લાંબો ચક્કર લગાવીને જતા લોકોને હવે અંદાજે ૨૫ કિલોમીટર જેટલું અંતર ઓછું કાપવું પડશે. આનાથી સમય અને ઇંધણની બચત થવાની સાથે ટ્રાફિક વ્યવસ્થા વધુ સરળ બનશે તેમજ રાહદારીઓની સુરક્ષા માટે અલગ વોકવે પણ બનાવાયો છે.
વેપાર-રોજગારને વેગ મળશે: સ્થાનિકોની 25 વર્ષ જૂની માંગ સંતોષાઈ
આ પુલ કાર્યરત થવાથી માણસા વિસ્તારના વેપારીઓ અને ખેડૂતો સરળતાથી પોતાના કૃષિ માલને માણસા માર્કેટ યાર્ડ સુધી પહોંચાડી શકશે. આ ઉપરાંત ધાર્મિક સ્થળ સાદરા જક્ષણી માતાજીના મંદિરે જતા શ્રદ્ધાળુઓની અવરજવર પણ સુગમ બનશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના વિશેષ પ્રયાસોથી સ્થાનિકોની 25 વર્ષ જૂની આ માંગ સંતોષાતા સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છે.
