દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શન વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ મોટી કાર્યવાહી કરી છે. દેશની શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષા પદ્ધતિમાં મોટા સુધારા લાવવાની દિશામાં NTAએ એક બહુ મોટું પગલું ભર્યું છે. શિક્ષણ મંત્રાલયના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, NTAએ પોતાના 47 અધિકારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી ટર્મિનેટ એટલે કે બરતરફ કરી દીધા છે.માત્ર નોકરીમાંથી કાઢી મુકવા પૂરતી આ કાર્યવાહી સીમિત નથી. આ ટર્મિનેટ કરાયેલા અધિકારીઓમાંથી કેટલાક સામે કાનૂની અને અપરાધિક (ક્રિમિનલ) કાર્યવાહી પણ કરવામાં આવશે. પરીક્ષાઓની પારદર્શિતા અને ગુણવત્તા જાળવી રાખવા માટે એજન્સી દ્વારા આ કડક એક્શન લેવામાં આવ્યું છે.
પેપર લીક મામલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ અધિકારીઓને હટાવવાની આ કાર્યવાહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વીડિયો મેસેજના 20 કલાકની અંદર જ કરી છે.
જણાવી દઈએ કે, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને લઈને સરકાર અને કોકરોચ જનતા પાર્ટી વચ્ચે શુક્રવારે (24 જુલાઈ) બીજા તબક્કાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્ર સિંહ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે કોકરોચ જનતા પાર્ટી તરફથી પ્રવક્તા આશુતોષ રાંકા અને સૌરભ દાસ હાજર રહ્યા હતા. આ ચર્ચા દરમિયાન કેટલાક અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
શનિવારે બપોરે 3:30 વાગ્યે ફરી બેઠક
જંતર-મંતર પર પહોંચીને આશુતોષ રાંકાએ આંદોલનકારીઓને માહિતી આપી હતી કે, સરકારે શનિવારે (25 જુલાઈ) બપોરે 3:30 વાગ્યે ફરીથી વાતચીત માટે બોલાવ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, હવે વધુ સમય બગાડી શકાય તેમ નથી અને જો આગામી 1-2 દિવસમાં ધર્મેન્દ્ર પ્રધાનને બરતરફ કરવામાં નહીં આવે, તો 20 જુલાઈ કરતા પણ મોટું દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે.
વડાપ્રધાન સુધી મેસેજ પહોંચાડવા અપીલ
આશુતોષ રાંકાએ ઉમેર્યું હતું કે, ‘અમે સરકારને સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ વડાપ્રધાન મોદીને જણાવી દે કે, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી ઓછું કશું જ મંજૂર નથી.’ તેમણે જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું હતું કે, આગામી બેઠકમાં તેઓ રાજીનામા સાથે જ પાછા ફરશે અને સંઘર્ષની જીત ખૂબ નજીક છે.
