ગઈકાલે દિલ્હીના જંતર-મંતર ખાતે સિટિઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ (CJP) દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે યુવા પેઢીના વખાણ કરતા એક સનસનાટીભર્યું નિવેદન આપ્યું હતું. તેમણે સ્વીકાર્યું હતું કે તેમની પેઢી સરકારથી ડરતી હતી, જ્યારે આજનો યુવાવર્ગ સંપૂર્ણપણે નિર્ભય થઈને દેશને નવો માર્ગ બતાવી રહ્યો છે.આંદોલનકારીઓને સંબોધતા મણિશંકર અય્યરે જણાવ્યું હતું કે, “આજના યુવાનો માત્ર વિદ્યાર્થીઓ નથી, પરંતુ તેઓ આખા દેશને એક મોટો પાઠ ભણાવી રહ્યા છે. એ પાઠ કયો છે? એ પાઠ છે – નિર્ભય બનો”* પોતાના અને પોતાની પેઢીના ડરનો ખુલાસો કરતા તેમણે ઉમેર્યું હતું કે, “અમારી પેઢી ખરેખર ખૂબ ડરેલી હતી. નરેન્દ્ર મોદીજી અને અમિત શાહનું નામ સાંભળીને પણ અમને ધ્રૂજારી છૂટતી હતી. અમને હંમેશાં એવો જ શંકા-ડર રહેતો હતો કે જો આપણે અવાજ ઉઠાવીશું, તો આપણી સામે કડક કાર્યવાહી થઈ જશે.”
ઉમર ખાલિદ અને શરજીલ ઇમામનો ઉલ્લેખ
સરકારની કાર્યવાહી અને ન્યાયિક પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા અય્યરે જેલમાં બંધ નિર્ધારિત યુવા નેતાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું: “અમે ઉમર ખાલિદ અને શરજીલ ઇમામને જોયા છે. તેઓ છેલ્લા 6 -7 વર્ષથી જેલમાં બંધ છે. સરકાર હજુ સુધી કોર્ટ સમક્ષ તેમનો ગુનો સાબિત કરી શકી નથી કે રજૂ કરી શકી નથી. આવી સ્થિતિ જોઈને અમે ડરી ગયા હતા. હું પ્રામાણિકપણે સ્વીકારું છું કે મેં મારો અવાજ ઉઠાવવાનો પ્રયાસ ચોક્કસ કર્યો હતો, પરંતુ મારી અંદર એક ઊંડો ડર છુપાયેલો હતો.”
“હું અહીં યુવાનો પાસેથી શીખવા આવ્યો છું”
પોતાના સંબોધનના અંતમાં અય્યરે આજના આંદોલનકારી યુવાનોના સાહસને બિરદાવતા કહ્યું હતું કે, “આજે અમે જોઈ શકીએ છીએ કે તમે લોકો બિલકુલ નિર્ભય છો. તમારી અંદર કોઈ ડર નથી અને હું અહીં તમારી આ નિર્ભયતાની ભાવનામાંથી જ કંઈક શીખવા માટે આવ્યો છું.”
