અમદાવાદની પ્રખ્યાત હોટલના માલિકની સુરતના કામરેજમાંથી ધરપકડ, જાણો શું છે આખો મામલો

Spread the love

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં જમીન અને પ્લોટના નામે નાગરિકો સાથે લાખો-કરોડો રૂપિયાની ઠગાઈ આચરનાર શખ્સ વિરુદ્ધ કામરેજ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદની જાણીતી પતંગ હોટલના માલિક અને શાતિર ઠગે નિર્દોષ લોકોને પોતાના જાળમાં ફસાવીને મોટી છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.

 

કામરેજ પોલીસ સ્ટેશનમાં એપ્રિલ 2026માં નોંધાયેલા ગુના મુજબ ઉમંગ ઠક્કરે કામરેજના ખોલવડ ગામમાં ‘ સહજાનંદ નિર્વાણા ‘ નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ 15થી વધુ ફરિયાદીઓને પ્લોટ આપવાના વાયદા કરીને તેમની પાસેથી કુલ 1 કરોડ 56 લાખ વસૂલ્યા હતા. પરંતુ ન તો પ્લોટની ફાળવણી કરવામાં આવી અને ન તો ફરિયાદીઓના નાણાં પરત કરાયા. લાંબા સમય સુધી રાહ જોયા બાદ પીડિતાએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

 

પીડિત મહિલા સહિત અન્ય નાગરિકોની લેખિત ફરિયાદના આધારે કામરેજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આરોપી લાંબા સમયથી પોતાના પ્રભાવ અને રાજકીય પહોંચનો ઉપયોગ કરીને પોલીસથી બચવાનો પ્રયાસ કરતો હતો. જોકે, આખરે પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને જેલના હવાલે કર્યો છે.

 

કામરેજ તાલુકાના ખોલવડ વિસ્તારમાં વર્ષ 2025માં ‘સહજાનંદ નિર્વાણા’ નામથી પ્લોટિંગ પ્રોજેક્ટનું માર્કેટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. બેનરો, જાહેરાતો અને સેલ્સ ટીમ માર્ફતે લોકોને ઓછા ભાવે પ્લોટ આપવાના દાવા કરવામાં આવ્યા હતા અને અનેક રોકાણકારોએ પ્રોજેક્ટમાં રસ દાખવી બુકિંગ કરાવ્યું હતું. ખરીદદારો પાસેથી હપ્તા અને એકસાથે પ્લોટની કિંમત સ્વીકારવામાં આવી હતી. જે જમીન પર આ પ્રોજેક્ટ બતાવવામાં આવ્યો હતો, તે જમીન અગાઉ 2018માં અન્ય વ્યક્તિને વેચાઈ ચૂકી હતી. પ્રોજેક્ટ પાસે જરૂરી RERA મંજૂરી નહોતી. આ ઉપરાંત જમીન અંગે પહેલેથી જ કોર્ટમાં વિવાદ ચાલી રહ્યો હતો.સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનમાં 2 મે 2026માં છેતરપિંડીની FIR નોંધાઈ હતી. ફરિયાદમાં ઉમંગ ઠક્કર, નીલ ઠક્કર, કાંતા ઠક્કર સહિતના આરોપીઓના નામ દર્શાવવામાં આવ્યા હતા.આરોપીઓ સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને કાવતરાં સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.

 

કામરેજ પોલીસ સ્ટેશનના PI આર.બી ગોજિયાએ કહ્યું કે, વર્ષ 2026ના એપ્રિલ મહિનામાં કામરેજ પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 316 અને 318 મુજબ ગુનો દાખલ થયેલો છે. આ ગુનાના મુખ્ય આરોપી ઉમંગ હરીભાઈ ઠક્કર દ્વારા કામરેજના ખોલવડ ગામે ‘નિર્વાણા’ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો. જે જગ્યા 2018માં અન્યને વેચી નાખેલી હોવા છતા ટાઇટલ ક્લિયર ન હોવા છતા ખુલ્લા પ્લોટ વેચાણ અર્થે મૂકી 15 થી 16 જેટલા ફરિયાદીઓ પાસેથી કુલ 1 કરોડ 56 લાખ રૂપિયા પડાવ્યા હતા. પ્લોટ કે પૈસા પરત ન આપતા ફરિયાદી સ્ત્રીએ ફરિયાદ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ તપાસમાં કુલ રકમ 1.56 કરોડ આવી છે, જે વધુ તપાસમાં ખુલાસો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *