રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલા અનુસૂચિત જનજાતિ (ST), OBC અને આર્થિક રીતે નબળા વર્ગના લાખો વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ છેલ્લા એક વર્ષથી અટવાઈ હોવાના મુદ્દે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકાર સામે મોરચો માંડ્યો છે. તેમણે ચેતવણી આપી છે કે, જો આગામી 9મી ઓગસ્ટને ‘વિશ્વ આદિવાસી દિવસ’ સુધીમાં અટકેલી સ્કોલરશિપનું યોગ્ય નિરાકરણ નહીં લાવવામાં આવે તો સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
2 લાખથી વધુ વિદ્યાર્થીઓ આર્થિક ભીંસમાં
સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી શિક્ષણનો પ્રકાશ પહોંચાડવા અને આદિવાસી સમાજની ઉન્નતિના મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા સાવ અલગ ચિત્ર ઉપસાવે છે. શૈક્ષણિક વર્ષ પૂર્ણ થવા આવ્યું હોવા છતાં નર્સિંગ, ફાર્મસી, BBA, BCA, B.Com अने M.Sc ४वा डिग्री तेम ડિપ્લોમા અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને હજુ સુધી સ્કોલરશિપની રકમ મળી નથી. કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટમાં વિલંબ અને વહીવટી ઉદાસીનતાના કારણે ST કેટેગરીના 1 લાખથી વધુ અને OBC સહિતના અન્ય કેટેગરીના મળી કુલ 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.
કોલેજ સંચાલકોનું દબાણ અને ફી ઉઘરાણી
બીજી તરફ, કોલેજ સંચાલકો દ્વારા ફી ભરવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. ફ્રીશિપ કાર્ડ ધરાવતા શ્રમજીવી અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પાસેથી મસમોટી ફી માગવામાં આવી રહી છે, જેના કારણે ઘણા વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ અટકાવી દેવાયા છે અથવા તો અભ્યાસ છોડવાની નૌબત આવી છે.
9 ઓગસ્ટ સુધીનું અલ્ટીમેટમ
યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે જો 9મી ઓગસ્ટ સુધીમાં તમામ સ્કોલરશિપ એલોટ કરવામાં નહીં આવે તો બિરસા મુંડા ભવન, વિધાનસભા તેમજ જિલ્લા કલેક્ટર કચેરીઓનો ઘેરાવ કરી આંદોલન કરવામાં આવશે. આ અલ્ટીમેટમ બાદ શિક્ષણ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
