દુનિયામાં અલગ-અલગ પ્રકારની બીમારીઓથી પીડાતા લોકો વિશે આપણે સાંભળતા હોઈએ છીએ. ઘણીવાર એવી બીમારીઓના નામ પણ સાંભળવા મળે છે કે, સામાન્ય માણસને બોલી ઉઠે છે કે, ‘ના હોય! દુનિયામાં આવી પણ બીમારી છે’. કેટલાક લોકોની શારીરિક સ્થિતિ સામાન્ય લોકોથી તદ્દન અલગ હોય છે, જ્યારે કેટલીક દુર્લભ બીમારીઓ તો મેડિકલ સાયન્સ માટે પણ પડકારરૂપ બની જાય છે.પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના 16 વર્ષના ઇકબાલ શેખની કહાની પણ આવી જ છે. છેલ્લા કેટલાક વર્ષોથી તે જમીન પર રહેવાને બદલે મોટાભાગનો સમય પાણીમાં પસાર કરે છે. પાણીની બહાર આવતાં તેના શરીરમાં અસહ્ય બળતરા થતા હોવાનો દાવો થઈ રહ્યો છે. ઇકબાલની આ સ્થિતિ પાછળ કોઈ દુર્લભ બીમારી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, અજ્ઞાનતાના કારણે ગામના લોકો અને પોતે ઇકબાલનું પણ માનવું છે કે, તેની આ હાલત પાછળ કોઈ અદ્રશ્ય શક્તિ, ભૂત-પ્રેત અથવા જીન્નનો હાથ છે.
શું છે આખી કહાની?
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા વિસ્તારનો 16 વર્ષનો ઇકબાલ શેખ અન્ય બાળકોની જેમ મિત્રો સાથે મેદાનમાં રમી શકતો નથી, ઘરમાં સામાન્ય રીતે બેસીને ભોજન કરી શકતો નથી કે નિયમિત રીતે સ્કૂલે જઈ શકતો નથી. છેલ્લા પાંચ વર્ષથી તે મોટાભાગનો સમય પાણીમાં જ પસાર કરી રહ્યો છે. અઠવાડિયામાં એક-બે દિવસ તે પાણીની બહાર આવે છે, પરંતુ બાકીનો સમય તળાવમાં તરીને, પાણીમાં રહીને અથવા પાણીમાં ડૂબકી લગાવીને પસાર કરે છે. એટલું જ નહીં, દિવસની સાથે રાત્રે પણ તેને પાણીમાં જ રહેવું પડે છે.
પાણીમાં જ કેમ રહેવું પડે છે?
ઇકબાલના જણાવ્યા મુજબ, જ્યારે તે પાણીમાંથી બહાર આવે છે ત્યારે તેના શરીરમાં જાણે આગ લાગી હોય તેવા અસહ્ય બળતરા થવા લાગે છે, પરંતુ તળાવના પાણીમાં જતાં જ તેના શરીરને ઠંડક મળે છે અને બળતરા ઓછી થઈ જાય છે. આ જ કારણસર તે દિવસના મોટા ભાગના કલાકો અને અઠવાડિયાના મોટાભાગના દિવસો પાણીમાં રહે છે. સ્થિતિ એટલી ગંભીર છે કે તે ભોજન પણ પાણીમાં રહીને જ કરે છે. પરિવારના સભ્યો અને સ્થાનિક લોકો તેને પાણીમાં જ ખાવા માટે ભોજન, નાસ્તો, ફળો અને અન્ય ખાદ્ય વસ્તુઓ પહોંચાડીને મદદ કરે છે.
દુર્લભ બીમારીની આશંકા
ઇકબાલની સ્થિતિ જોઈને શરૂઆતમાં તેના માતા-પિતા પણ ખૂબ ચિંતિત થઈ ગયા હતા. તેઓ તેને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ કોઈ દુર્લભ ચામડી અથવા નસ સંબંધિત સમસ્યા હોઈ શકે છે. જોકે, વધુ સારી સારવાર માટે મોટી રકમનો ખર્ચ થઈ શકે છે. પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત ન હોવાથી તેઓ હવે મદદ કરી શકે તેવા દાતાઓની રાહ જોઈ રહ્યા છે.
