દેશભક્તિના રંગે રંગાયું અમદાવાદ શહેર નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાયપુરથી તિરંગો લહેરાવી ‘તિરંગા યાત્રા’ પ્રારંભ કરાવ્યો

Spread the love

 

‘કશ્મીરથી કન્યાકુમારી અને ગામડાથી મહાનગર સુધી આજે દેશભક્તિનો એક જ રંગ-તિરંગાનો રંગ’: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

*ભવ્ય આતશબાજી સાથે સારંગપુર ખાતે યાત્રાનું સમાપન; ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ*

 

દેશભક્તિની ભાવનાને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી અમદાવાદ શહેરના રાયપુરથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ તિરંગો લહેરાવી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર તથા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે દેશની સરહદો પર કપરા સંજોગોમાં દેશની સુરક્ષા માટે તત્પર રહેતા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા દેશભરમાં આ યાત્રા યોજાઈ રહી છે. ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યોજાયેલ આ ‘તિરંગા યાત્રા’માં શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા પણ જોડાયા હતા.

 

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે કશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગામડાથી મહાનગર સુધી આજે દેશભક્તિનો એક જ રંગ છે-તિરંગાનો રંગ. તેમણે જણાવ્યું કે ગરમી હોય કે ધોધમાર વરસાદ, કડકડતી ઠંડી હોય કે કપરા સંજોગો, આપણા વીર જવાનો દેશની સુરક્ષા માટે અડીખમ ઊભા રહે છે. આવા વીર જવાનો અને તેમના પરિવારજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની દેશના દરેક નાગરિકની જવાબદારી છે. સૌ સાથે મળીને એક-એક વીર જવાનને નમન કરીએ, તેમની બહાદુરીને સલામ કરીએ અને ‘ભારત માતા કી જય’ના ગગનભેદી નારા સાથે દેશભક્તિની ગુંજ દેશના દરેક ખૂણે પહોંચાડીએ.

 

નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી ‘હર ઘર તિરંગા’ અભિયાન આજે દેશવ્યાપી જનઆંદોલન બન્યું છે. ગામડાથી મહાનગર સુધી અને બાળકોથી વડીલો સુધી સૌ કોઈ તિરંગા સાથે જોડાઈને રાષ્ટ્રપ્રેમની અભિવ્યક્તિ કરી રહ્યા છે. અમદાવાદની તિરંગા યાત્રામાં કિલોમીટરો સુધી યુવાનો, મહિલાઓ અને વડીલો હાથમાં તિરંગો લઈને જોડાયા છે, જે અમદાવાદની ગાઢ દેશભક્તિની જીવંત તસ્વીર છે. દેશભક્તોની રેલી કેવી હોય તેના દૃશ્યો જોવા હોય તો આજે અમદાવાદ આવો, તેમ તેમણે ગૌરવપૂર્વક જણાવ્યું હતું.

 

તિરંગાની પવિત્રતા અને ગૌરવ જાળવવા નાગરિકોને અનુરોધ કરતાં શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે તિરંગો હંમેશા ઊંચો જ લહેરાવવો જોઈએ. ઉત્સાહમાં કે અજાણતાં પણ તિરંગો રસ્તા પર ન પડે તેની સૌએ કાળજી રાખવી જોઈએ. યાત્રા પૂર્ણ થયા બાદ તિરંગાને વ્યવસ્થિત રીતે ફોલ્ડ કરીને સન્માનપૂર્વક ઘરે લઈ જઈ યોગ્ય રીતે સાચવવો જોઈએ. તિરંગાની આન, બાન અને શાન જાળવવાની જવાબદારી દરેક નાગરિકની છે, તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

 

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ભવ્ય તિરંગા યાત્રામાં અંદાજિત એક લાખથી વધુ નગરજનો જોડાયા હતા. બિગબજાર-રાયપુર ખાતેથી પ્રસ્થાન થયેલી યાત્રાના સમગ્ર રૂટને તિરંગાના રંગો અને દેશભક્તિની થીમ સાથે શણગારવામાં આવ્યો હતો. રાયપુર ચાર રસ્તા, ખાડિયા ગેટ અને સારંગપુર ચાર રસ્તા સહિતના માર્ગો પર 11 સ્વાગત સ્ટેજ ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ‘વંદે માતરમ્’, ‘સારે જહાં સે અચ્છા’ અને ‘એ મેરે વતન કે લોગો’ જેવા દેશભક્તિના ગીતોથી સમગ્ર માહોલ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયો હતો.

 

તિરંગા યાત્રામાં અમદાવાદ સ્કૂલ બોર્ડના શિક્ષકો દ્વારા 300 ફૂટ લાંબો વિશાળ રાષ્ટ્રધ્વજ જોડવામાં આવ્યો હતો. પોલીસ વિભાગની વિવિધ પ્લાટુન, એસ.આર.પી.ના જવાનો, પોલીસ બેન્ડ, ફાયર વિભાગ, હોમગાર્ડ, સ્કાઉટ બેન્ડ સાથેના વિદ્યાર્થીઓ-શિક્ષકો, રમતવીરો તેમજ વિવિધ સમાજો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા સ્વચ્છતા, પર્યાવરણ, રાષ્ટ્રભાવના અને શહેરના વિકાસના સંદેશ આપતા વિવિધ થીમ આધારિત ટેબ્લો પણ યાત્રાનું વિશેષ આકર્ષણ બન્યા હતા.

 

રાયપુરથી પ્રસ્થાન કરેલી તિરંગા યાત્રા વિવિધ માર્ગો પરથી પસાર થઈ સારંગપુર ખાતે ભવ્ય આતશબાજી સાથે સંપન્ન થઈ હતી. સારંગપુર ખાતે પહોંચ્યા બાદ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના રાષ્ટ્રનિર્માણમાં અમૂલ્ય યોગદાનને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યું હતું. ‘ભારત માતા કી જય’ના ગગનભેદી નારા, હાથમાં લહેરાતા તિરંગા અને ભવ્ય આતશબાજી સાથે પૂર્ણ થયેલી આ યાત્રા અમદાવાદની અખંડ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભવ્ય અભિવ્યક્તિ બની રહી હતી.

 

આ પ્રસંગે મેયર શ્રી હિતેશભાઈ બારોટે સ્વાગત પ્રવચન કર્યું હતું. તિરંગા યાત્રામાં અગ્રણી શ્રી પ્રેરકભાઈ શાહ, ધારાસભ્યશ્રીઓ સર્વશ્રી અમિતભાઈ શાહ, અમિતભાઈ ઠાકર, અલ્પેશભાઈ ઠાકોર, બાબુભાઈ પટેલ, જીતેન્દ્રભાઈ પટેલ, કૌશિકભાઈ જૈન, હર્ષદભાઈ પટેલ, પાયલબેન કુકરાણી, અમૂલભાઈ ભટ્ટ, ડૉ. હસમુખભાઈ પટેલ, દિનેશસિંહ કુશવાહા, ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુબેન શાહ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, કલેકટર ભવ્ય વર્મા, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે સહિતનાઅધિકારીઓ- પદાધિકારીઓ પોલીસ જવાનો તથા વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *