વારાણસી એરપોર્ટ પર આઝમગઢનાં રહેવાસી અને મુંબઈનાં રાજકારણમાં સક્રિય એવા કમલેશ કેદારનાથ રાય પોતાની પત્ની સાથે વારાણસીથી મુંબઈ જવા માટે એરપોર્ટ પર પહોંચ્યા હતા. આ સમયે નિયમ અનુસાર તેઓ પોતાની પિસ્તોલ જમા કરાવી રહ્યાં હતા, આ સમયે જ પિસ્તોલનું ટ્રિગર દબાવાઈ જતા એક રાઉન્ડ ફાયર થયો હતો. આ સમયે એરપોર્ટ સ્ટાફની એક મહિલા કર્મચારીને પગમાં ગોળી વાગી હતી, જ્યારે અન્ય એક પુરુષ કર્મચારીને હાથને અડીને પસાર થઈ ગઈ હતી.બંને કર્મચારી સુમન કુમારી અને રોહિત પ્રસાદને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.પિસ્તોલમાંથી મેગેઝીન નીકાળવી જરૂરી હોય છે અને આ કામ કરતા સમયે ટ્રિગર દબાવાતા ગોળી ચાલી હોવાનું સામે આવ્યું છે. આ કારણે પ્રવાસી કમલેશ રાયની અટકાયત કરવામાં આવી હતી.
કમલેશ રાય કોણ છે? વારાણસી એરપોર્ટની ઘટના બાદ કમલેશ રાયનું આઝમગઢ કનેક્શન પણ સામે આવ્યું છે. કમલેશ રાયનો સંબંધ આઝમગઢનાં રામગઢ વિસ્તાર સાથે જોડાયેલો છે. આઝમગઢમાં તેમનો પરિવાર શિક્ષણ અને સામાજીક એક્ટિવિટી સાથે જોડાયેલો રહ્યો છે. જોકે, તેઓ સ્થાનિક સ્તરે ભાજપ કે અન્ય પક્ષ સાથે જોડાયેલા ના હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, મુંબઈ પહોંચ્યા બાદ કમલેશ રાય એ ત્યાંના સ્થાનિક રાજકારણમાં પોતાની ઓળખ બનાવી હતી. મુંબઈમાં 2007માં બીએમસીનાં K/e વોર્ડથી કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી હતી. તેમની પત્ની સુષમા રાય 2017માં બીએમસીનાં વોર્ડ 86થી કોંગ્રેસની કોર્પોરેટર તરીકે ચૂંટાઈ હતી. તેઓ પછીથી એકનાથ શિંદે જૂથની શિવસેના સાથે જોડાયા હતા. 2025માં તેમની વિરુદ્ધ મુંબઈમાં એક કોન્ટ્રાક્ટરે કથિત ખંડણી માગવાની ફરિયાદ કરી હતી. આ મામલે તેમની અટકાયત કરવામાં આવી હતી અને આ કેસ હાલ ન્યાયિક પ્રક્રિયાનો વિષય છે.
ગોળી કેવી રીતે ચાલી તેની તપાસ થઈ રહી છેવારાણસી એરપોર્ટ પરનાં ગોળીબારને કારણે તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે. હવે એ તપાસ ચાલી રહી છે કે- હાઈ સિક્યોરિટી ઝોનમાં ગોળી કેવી રીતે ચાલી? શું પિસ્તોલની તપાસ દરમિયાન સુરક્ષા પ્રક્રિયામાં કોઈ ચૂક થઈ હતી? શું આ મામલે કમલેશ રાયની કોઈ બેદરકારી જવાબદાર છે? આ મામલે પોલીસની તપાસ અને એરપોર્ટ પરની સુરક્ષા એજન્સી દ્વારા તપાસ બાદ ખુલાસો થઈ શકે છે.
