ગાંધીનગરમાં બેવડી ઋતુ વચ્ચે વાયરલ બીમારીઓએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગાંધીનગર શહેરી વિસ્તારમાં છેલ્લા એક જ મહિનામાં તાવના 1500થી વધુ દર્દીઓ નોંધાતાં આરોગ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે. વાતાવરણમાં સતત આવી રહેલા આ અચાનક બદલાવના કારણે સિવિલ હોસ્પિટલની મેડિસીન ઓપીડીમાં દરરોજ દર્દીઓનો મોટો ધસારો જોવા મળી રહ્યો છે, જેમાં તાવ સાથે શરદી, ખાંસી અને ગળામાં બળતરાના લક્ષણોવાળા કેસો સૌથી વધુ સામે આવી રહ્યા છે.
એક મહિના દરમિયાન તાવના 1500 કેસો પાટનગરમાં વાયરલ ફ્લૂ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળાએ પણ પગપેસારો કર્યો છે. સત્તાવાર રિપોર્ટ મુજબ છેલ્લા એક મહિના દરમિયાન તાવના 1500 કેસો ઉપરાંત મેલેરિયાના 11 અને ડેન્ગ્યુના 27 કેસ સામે આવ્યા છે. જ્યારે તાજેતરમાં સ્વાઈન ફ્લૂના પણ બે દર્દીઓ નોંધાતાં સિવિલ હોસ્પિટલ તંત્ર પણ વધુ એલર્ટ બન્યું છે. બેવડી ઋતુ અને વાયરલ ઇન્ફેક્શન કેસોમાં સિનિયર સિટીઝન, મહિલાઓ અને નાના બાળકો સૌથી વધુ ભોગ બની રહ્યા છે.
7 દિવસમાં જ 4250 દર્દીઓ સારવાર લીધી ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મેડિસીન ઓપીડીમાં જ છેલ્લા 7 દિવસમાં જ 4250 દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. જેમાં 1540 નવા દર્દીઓનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે 2થી 3 દિવસમાં મટી જતાં શરદી-ખાંસી અને તાવના લક્ષણો આ વખતે અઠવાડિયા સુધી ટકી રહેતા હોવાથી તબીબો માટે પણ આ સ્થિતિ ચિંતાજનક બની છે. તો સિવિલની કેસ બારીથી લઈને મેડિકલ સ્ટોર સુધી દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.
શરદી, ઉધરસ કે તાવના લક્ષણો હોય તો તપાસ કરાવો આ અંગે આરોગ્ય તંત્ર દ્વારા લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. ગરમીમાંથી આવ્યા પછી તુરંત જ ઠંડું પાણી કે ફ્રિજની વસ્તુઓ પીવાનું ટાળવું જોઈએ. તડકામાંથી આવ્યા બાદ તરત જ એસી વાળા રૂમમાં જવાનું કે એસીમાંથી સીધા તડકામાં જવાનું ટાળવું. વાસી કે ખુલ્લો ખોરાક ન ખાવા અને હંમેશા ઉકાળેલું અથવા ચોખ્ખું પાણી પીવા આગ્રહ રાખવો. શરદી, ઉધરસ કે તાવના લક્ષણો જણાય તો જાતે દવાઓ લેવાના બદલે તાત્કાલિક યોગ્ય ડોક્ટરની સલાહ લેવી.
