ઓબીસી (OBC) અનામતમાં ક્રીમી લેયર નક્કી કરવાનો વિવાદાસ્પદ મુદ્દો એકવાર ફરીથી સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચ્યો છે. કેન્દ્ર સરકારના કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ (DoPT) દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક વિશેષ અરજી દાખલ કરીને 11 માર્ચ 2026ના રોજ આપવામાં આવેલા ચુકાદા પર સ્પષ્ટતા માંગવામાં આવી છે.કેન્દ્ર સરકારે ખાસ કરીને યુપીએસસી (UPSC) ની સિવિલ સેવા પરીક્ષા 2025 અને 2026 પર આ નિર્ણયને તાત્કાલિક લાગુ કરવાથી છૂટ આપવાની અપીલ કરી છે.
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય અને નિયમો
જસ્ટિસ પી. એસ. નરસિમ્હા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે ‘ભારત સરકાર વિરુદ્ધ રોહિત નાથન’ કેસમાં આ મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે કોઈપણ ઉમેદવારને માત્ર તેના માતા-પિતાના પગાર કે વાર્ષિક આવકના આધારે ઓબીસી ક્રીમી લેયર હેઠળ વર્ગીકૃત કરી શકાય નહીં. ક્રીમી લેયરનો દરજ્જો નક્કી કરતી વખતે માતા-પિતાનું હોદ્દો (Post) અને તેમની સામાજિક સ્થિતિને ધ્યાનમાં લેવી અનિવાર્ય છે.
કોર્ટે કેન્દ્ર સરકારના 2004ના એ આદેશને પણ અસંબંધિત અને ખામીયુક્ત ગણાવ્યો હતો, જેમાં જાહેર ક્ષેત્રના સાહસો (PSU), બેંકો અને ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓના બાળકો માટે માત્ર આવકનો માપદંડ રાખવામાં આવ્યો હતો, જ્યારે સરકારી કર્મચારીઓના બાળકો માટે હોદ્દાને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. અદાલતે આ તફાવતને બંધારણના અનુચ્છેદ 14 અને 16 માં આપવામાં આવેલા સમાનતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.
કેન્દ્ર સરકારની મુખ્ય ચિંતાઓ અને પ્રશાસનિક મુશ્કેલીઓ
કેન્દ્ર સરકારે અદાલત સમક્ષ પોતાની દલીલો રજૂ કરતા જણાવ્યું છે કે આ નિર્ણયને જો તાત્કાલિક અસરથી કે પાછલી તારીખથી લાગુ કરવામાં આવે તો ભારે પ્રશાસનિક અરાજકતા સર્જાઈ શકે છે:
સિવિલ સેવા પરીક્ષા પર અસર: યુપીએસસી સિવિલ સેવા પરીક્ષા 2025નું અંતિમ પરિણામ 6 માર્ચે જાહેર થઈ ચૂક્યું છે. હવે આ તબક્કે નિયમો બદલવાથી સેવાઓ અને કેડરની ફાળવણી, ટ્રેનિંગ પ્રોગ્રામ તેમજ અન્ય પ્રક્રિયાઓ ખોરવાઈ જશે.
નવા કેસો અને કાનૂની વિવાદો: વર્ષ 2016 પછી કેન્દ્ર સરકાર, રેલવે, બેંકો, અર્ધસૌન્ય દળો અને યુનિવર્સિટીઓમાં અંદાજે 3.70 લાખ OBC ઉમેદવારોની નિમણૂક થઈ ચૂકી છે. જૂના નિર્ણયો બદલાવાથી અદાલતોમાં કેસોનો મોટો ભરાવો થશે.
જટિલ અને સમય માંગી લેતી પ્રક્રિયા: ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રના વિવિધ હોદ્દાઓની સરકારી હોદ્દાઓ સાથે સમાનતા (Equivalence) નક્કી કરવી અત્યંત જટિલ છે. તમામ રાજ્યો અને સંસ્થાઓ સાથે વિચાર-વિમર્શ કરવામાં ઓછામાં ઓછો 2 વર્ષનો સમય લાગી શકે છે.
આર્થિક રીતે નબળા ઉમેદવારોને નુકસાનની આશંકા
કેન્દ્ર સરકારે પોતાની અરજીમાં એવી પણ ગંભીર આશંકા વ્યક્ત કરી છે કે માત્ર હોદ્દાને આધાર બનાવવાથી એવી વિચિત્ર સ્થિતિ ઊભી થઈ શકે છે જ્યાં વાર્ષિક ₹1 કરોડથી વધુ આવક ધરાવતા સમૃદ્ધ માતા-પિતાના બાળકો પણ ‘નોન-ક્રીમી લેયર’ નો લાભ મેળવી લેશે. જો આવું થાય તો વાસ્તવિક અર્થમાં ગરીબ, આર્થિક રીતે પછાત અને સાધનોનો અભાવ ધરાવતા ઓબીસી ઉમેદવારોના હક્કો છીનવાઈ જશે.
સુપ્રીમ કોર્ટે આપી ઝડપી સુનાવણીની ખાતરી
કેન્દ્ર સરકાર તરફથી ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ને વિનંતી કરવામાં આવી હતી કે આ અરજીને તાત્કાલિક એ જ બેન્ચ સમક્ષ સુનાવણી માટે મોકલવામાં આવે જેણે માર્ચમાં મૂળ આદેશ આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશે પ્રશાસનિક વિસંગતતાઓ અને કેન્દ્રની ચિંતાઓને ધ્યાનમાં રાખીને આ મામલે ટૂંક સમયમાં જ એક વિશેષ બેન્ચની રચના કરવાની ખાતરી આપી છે.
