વિકસિત દેશોએ છેલ્લાં 200 વર્ષોમાં મોટા પાયે ઔદ્યોગિકીકરણ કરીને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું છે, ત્યારે હવે સ્વચ્છ ઊર્જા તરફ આગળ વધતી વખતે વિકાસશીલ દેશોની આર્થિક અને સામાજિક વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખવી અત્યંત જરૂરી છે. લંડનમાં આયોજિત એક આંતરરાષ્ટ્રીય કાનૂની પરિષદમાં સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતે આબોહવા પરિવર્તન (ક્લાઇમેટ ચેન્જ) અને પર્યાવરણીય ન્યાય મુદ્દે ધનિક દેશોને આડે હાથ લીધા હતા.સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સ્વચ્છ ઊર્જા (ક્લીન એનર્જી) તરફ આગળ વધવાની પ્રક્રિયા ન્યાયી અને સમાવેશી (‘જસ્ટ ટ્રાન્ઝિશન’) હોવી જોઈએ. આબોહવાકીય ન્યાય (ક્લાઇમેટ જસ્ટિસ) માત્ર પર્યાવરણીય રક્ષણ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ગરીબી નાબૂદી, સામાજિક સમાનતા અને વિકાસશીલ દેશોના સમાન વિકાસના અધિકારો સાથે પણ સીધી રીતે જોડાયેલો છે.
તેમણે ઉમેર્યું હતું કે, ‘ઐતિહાસિક રીતે પર્યાવરણીય ક્ષતિ માટે વિકસિત દેશો વધુ જવાબદાર છે. તેથી, ક્લાઇમેટ ટ્રાન્ઝિશનનો તમામ નાણાકીય બોજ અને જવાબદારી માત્ર વિકાસશીલ કે ગરીબ રાષ્ટ્રો પર ન નાખી શકાય. પર્યાવરણીય લક્ષ્યો પ્રાપ્ત કરતી વખતે ગરીબ અને વંચિત વર્ગોના હિતોનું રક્ષણ થાય તે જોવું વૈશ્વિક સમુદાયની ફરજ છે.’
ભારતનું ઉદાહરણ આપતાં ચીફ જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું હતું કે, ‘ભારતીય ન્યાયતંત્રે પર્યાવરણ રક્ષણ અને નાગરિકોના મૂળભૂત અધિકારો વચ્ચે સંતુલન જાળવવા માટે અનેક ઐતિહાસિક ચુકાદાઓ આપ્યા છે. ક્લાઇમેટ ટ્રાન્ઝિશનની વૈશ્વિક પ્રક્રિયામાં ન્યાય અને સમાન તકો (Justice & Equity) જાળવવી એ જ સાચો આબોહવાકીય ન્યાય છે.’
