શહેરના વસ્ત્રાપુરમાં આવેલા ઔડાના ગાર્ડનમાં કેટલાક લોકો પુસ્તક વાંચવા એકત્રિત થયા હતા. ત્યારે લાકડી અને દંડા લઇને આશરે વીસેક લોકોનું ટોળું આવ્યું હતું અને પુસ્તક વાંચતા લોકો પર હુમલો કર્યો હતો. બબાલ કરીને આ શખ્સોએ મલાલાનું પુસ્તક કેમ વાંચો છો તેમ કહીને ઘર્ષણ કરીને હુમલો કરતા મામલો ગરમાયો હતો. આ મામલે પોલીસને જાણ કરાતા વસ્ત્રાપુર પોલીસનો કાફલો દોડી આવ્યો હતો, છતાંય પોલીસની હાજરીમાં શખ્સોએ આતંક મચાવીને લોકોને માર માર્યો હતો.આ મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મોડી સાંજે પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા હતા.
સેટેલાઇટમાં રહેતા જય ઠક્કર સહિત વીસેક લોકો વસ્ત્રાપુર ઔડાના ગાર્ડનમાં પુસ્તક વાંચન માટે એકત્રિત થયા હતા. આ તમામ લોકો ગાર્ડનમાં ભેગા થયા અને પુસ્તક વાંચન માટેની તૈયાર કરતા હતા ત્યારે જ કેટલાક લોકોનું ટોળું આવી પહોંચ્યું હતું. દંડા અને લાકડીઓ સાથે આવેલા ટોળાએ મલાલાનું પુસ્તક કેમ વાંચો છો કહીને અચાનક હુમલો કર્યો હતો. શખ્સોએ આ બાબતને લઇને ચારેક લોકો પર હુમલો કર્યો હતો અને હાજર મહિલાઓના વાળ ખેંચીને તેમને પણ માર માર્યો હતો. હવે આ પુસ્તક વાંચશો તો જોઇ લઇશું તેવી ધમકી આપતા પોલીસ બોલાવવામાં આવી હતી. વસ્ત્રાપુર પોલીસની ટીમો પહોંચી ત્યારે પણ આ શખ્સો હાજર હતા અને પોલીસની હાજરીમાં મારામારી કરી હતી. ત્યારે આશરે છથી વધુ લોકો પર હુમલો કરનાર ટોળા સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં મલાલાના પુસ્તક વાંચવા બદલ વિવાદ થયો હતો જે બાદ કેટલાક પક્ષના લોકો પુસ્તક વાંચવા ભેગા થયા હતા અને ધાર્મિક સંગઠનના લોકોએ આ હુમલો કર્યો હોવાની ચર્ચા છે.