NEET-GPSC પરીક્ષામાં ‘ઝીરો ટોલરન્સ’: ગાંધીનગરનાં 43 કેન્દ્રો પર કલેક્ટરની સીધી નજર, પરીક્ષા દરમિયાન રહેશે કડક પહેરો

Spread the love

ગાંધીનગર જિલ્લામાં આવતીકાલે રવિવારે યોજાનારી બે મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક પરીક્ષાઓને સંપૂર્ણપણે નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે જિલ્લા વહીવટી તંત્રે સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આયોજિત NEET (PG)-2026 તેમજ GPSCની વિવિધ સંવર્ગની પ્રાથમિક કસોટીઓ દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે ગાંધીનગરના જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર ખતાલે દ્વારા કડક પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લાના કુલ 43 સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રાખવા માટે પોલીસ અને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.

 

NEET (PG) અને GPSCની વિવિધ સંવર્ગની પરીક્ષાઓ યોજાશે

 

ગાંધીનગર ખાતે રવિવારે સવારે 09:00થી 12:30 વાગ્યા દરમિયાન NEET (PG) ની મહત્વપૂર્ણ પરીક્ષા યોજાશે. આ ઉપરાંત સવારે 11:00ી 01:00 વાગ્યાના સમયગાળા દરમિયાન GPSC દ્વારા લેવાતી બાળ વિકાસ અધિકારી, નાયબ નિયામક તેમજ મદદનીશ ઇજનેર (સિવિલ) સંવર્ગની પ્રાથમિક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ઉમેદવારો કોઈ પણ ખલેલ વગર શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે તે માટે સમગ્ર કેન્દ્રો પર વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

 

100 મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષની દુકાનો બંધ અને પ્રવેશ પર રોક

 

જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ અનુસાર તમામ 43 પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટરની ત્રિજ્યામાં 4 કરતાં વધુ વ્યક્તિઓના એકઠા થવા પર તેમજ અનધિકૃત પ્રવેશ પર કડક મનાઈ ફરમાવાઈ છે. પેપર લીક કે કોઈપણ ગેરરીતિની શક્યતાઓ નાબૂદ કરવા માટે કેન્દ્રોની આસપાસ આવેલા તમામ ઝેરોક્ષ સેન્ટરો, ફેક્સ મશીનની દુકાનો તેમજ ચા-પાનના ગલ્લાઓ પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી સંપૂર્ણપણે બંધ રાખવાના રહેશે.

 

આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની આસપાસ લાઉડ સ્પીકર વગાડવા, અસ્તવ્યસ્ત વાહનો પાર્ક કરવા અને કોઈપણ પ્રકારના હથિયાર, પુસ્તકો કે કાપલીઓ સાથે રાખવા પર સખત મનાઈ રહેશે.

 

ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પર પૂર્ણ પ્રતિબંધ અને ભંગ કરનાર સામે આકરી તવાઈ

 

પરીક્ષા કેન્દ્રની અંદર કોઈપણ ઉમેદવાર કે અનધિકૃત વ્યક્તિ માટે મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, પેજર, કેલ્ક્યુલેટર કે અન્ય કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કડક આદેશોમાંથી માત્ર પૂર્વ-મંજૂર અને કાયદેસરની ફરજ પર તૈનાત પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ્સ અને પરીક્ષા સંચાલન સાથે સંકળાયેલા અધિકૃત અધિકારીઓને જ મુક્તિ આપવામાં આવી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે, જાહેરનામાના કોઈપણ નિયમનો ભંગ કરનાર કે ગેરરીતિ આચરવાનો પ્રયાસ કરનાર સામે કાયદાકીય જોગવાઈઓ હેઠળ તાત્કાલિક કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *