સુપ્રીમ કોર્ટે ન્યાયિક વ્યવસ્થાને લઈને મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે સાત રાજ્યોની નીચલી અને જિલ્લા અદાલતોમાં કાર્યરત ન્યાયિક અધિકારીઓની નિવૃત્તિ વય 60 વર્ષથી વધારીને 62 વર્ષ કરવા માટે જરૂરી નિયમોમાં ફેરફાર કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટનો મુખ્ય હેતુ અનુભવી ન્યાયિક અધિકારીઓની સેવાઓનો વધુ સમય સુધી લાભ લેવો અને અદાલતોમાં જજોની અછત ઘટાડવાનો છે.સુપ્રીમ કોર્ટના (Supreme Court) ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની બેન્ચે છત્તીસગઢ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, સિક્કિમ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળને નિવૃત્તિના નિયમોમાં જરૂરી સુધારા કરવા જણાવ્યું છે. આ ફેરફાર શક્ય તેટલો વહેલો અને વધુમાં વધુ બે મહિનામાં કરવાની સૂચના આપવામાં આવી છે. કોર્ટે કહ્યું કે 31 માર્ચ 2026 અથવા ત્યારબાદ 60 વર્ષની વયે નિવૃત્ત થયેલા ન્યાયિક અધિકારીઓને ફરીથી પદભાર સંભાળવાની તક આપવામાં આવે. જોકે, આ માટે શરત રહેશે કે તેમણે આ સમયગાળા દરમિયાન અન્ય કોઈ નોકરી સ્વીકારી ન હોય.
60 વર્ષ પૂર્ણ કરનારને હાલ પૂરતી રાહત
નિયમોમાં સુધારો થાય ત્યાં સુધી સાત રાજ્યોમાં 60 વર્ષની ઉંમર પૂર્ણ કરી ચૂકેલા ન્યાયિક(Supreme Court) અધિકારીઓને 62 વર્ષ સુધી નિવૃત્ત ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જોકે, તેમની સેવા ચાલુ રાખવી કે નહીં તેનો નિર્ણય સંબંધિત હાઈકોર્ટ દ્વારા અધિકારીની યોગ્યતા અને કામગીરીના મૂલ્યાંકન બાદ લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પણ ન્યાયિક અધિકારીઓની નિવૃત્તિ વય વધારવાના મુદ્દે પોતાના વલણ પર પુનર્વિચાર કરવા જણાવ્યું છે. તેમને બે અઠવાડિયામાં નિર્ણય લઈને અનુપાલન રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
અનુભવ અને યુવા અધિકારીઓ વચ્ચે સંતુલન
કોર્ટે(Supreme Court) સ્પષ્ટ કર્યું કે અનુભવી ન્યાયિક અધિકારીઓને વધુ સમય સુધી વ્યવસ્થામાં જાળવી રાખવાથી ન્યાયિક તંત્રને ફાયદો થઈ શકે છે. સાથે જ નવા અને યુવા અધિકારીઓને તક મળે તેવું સંતુલન જાળવવું પણ જરૂરી છે. રાજ્યોએ માત્ર વધતા નાણાકીય ખર્ચને કારણ બનાવી નિવૃત્તિ વય વધારવાનો વિરોધ કરવો યોગ્ય આધાર નથી, તેમ કોર્ટે નોંધ્યું. આ નિર્ણયથી આશા છે કે અનુભવી જજોની સેવાઓ ચાલુ રહેવા સાથે ખાલી પડતી ન્યાયિક જગ્યાઓ અને કેસોના વધતા ભારને ઘટાડવામાં મદદ મળશે, જેના પરિણામે લોકોને સમયસર ન્યાય મળવાની પ્રક્રિયાને પણ વેગ મળી શકે છે.
