રમત ગમત અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી
અનેક ઐતિહાસિક પુરાતત્વ સ્થળોની ધરોહર ધરાવતું વડનગર જીવંત નગર તરીકે પ્રસ્થાપિત થયું છે : સારું સ્વાસ્થ્ય જાળવી રાખવા યોગ મહત્વનું માધ્યમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતીય સંસ્કૃતિ સમાન યોગને વૈશ્વિક ઓળખ અપાવી : મંત્રી હર્ષ સંઘવી
………………………………….
રાજ્યમાં ટાટા મોટર્સ આવવાથી ગુજરાત ઓટોમોબાઇલ હબ બન્યું : ૨૬,૦૦૦થી વધુને પરોક્ષ-પ્રત્યક્ષ રોજગારી ઉપલબ્ધ : ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ પંચાલ
ગાંધીનગર
વિધાનસભા ગૃહ ખાતે રાજ્યમાં રાષ્ટ્રીયકક્ષાના ખેલાડીને વૃત્તિકા સહાય આપવાની યોજના સંદર્ભે પૂછાયેલાં પ્રશ્નનો જવાબ આપતા રમતગમત રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે સર્વાંગી વિકાસ પામેલું ગુજરાત રમતગમત ક્ષેત્રે વિશ્વનું રોલ મોડેલ બનશે.
રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રકક્ષાએ ભાગ લેતા ખેલાડીઓને વાર્ષિક રૂ. ૨,૦૦૦ વૃતિકા સહાય આપવાની યોજના અમલમાં છે. રાજ્યના ખેલાડી પોતાની પ્રતિભા કૌશલ્ય ઉપસાવી વૈશ્વિક સ્તરે ગુજરાત અને દેશનું નામ રોશન કરે તે હેતુથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ખેલાડીઓ માટે વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. શક્તિદૂત યોજના વર્ષ-૨૦૦૬માં રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓને તેમની જરૂરિયાત આધારિત સુવિધાઓ જેવી કે રમતગમતના આધુનિક સાધનો, કોચિંગ, નિષ્ણાત પ્રશિક્ષકોની સેવાઓ, તાલીમ, સ્પર્ધા ખર્ચ, મનોવૈજ્ઞાનિક વર્કશોપ માટે નાણાકીય સહાય આપવા, સ્પોર્ટ્સ મેડિસિન અને અન્ય સુવિધાઓ માટે અમલમાં મૂકવામાં આવી હતી. પ્રતિ ખેલાડીને વાર્ષિક રૂ. ૨૫ લાખ સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવતી હોય છે. તમામ શક્તિદૂત ખેલાડીઓનો મેડિક્લેમ અને આકસ્મિક મૃત્યુ પોલિસી સાથે વીમો લેવામાં આવે છે.
મંત્રી હર્ષ સંઘવીએ ખેલમહાકુંભ વિશે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભનો આપેલો વિચાર આજે વટવૃક્ષ બન્યો છે. વર્ષ-૨૦૧૦માં ૧૬ ખેલ, ૧૩ લાખ ખેલાડીઓ સાથે થયેલી શરૂઆત વર્ષ. ૨૦૧૯માં ૪૦ લાખ ખેલાડીઓની ભાગીદારી અને ૩૬ સ્પોર્ટ્સ, ૨૬ પેરા-સ્પોર્ટ્સ બાદ હવે આ સંખ્યા ૫૫ લાખ ખેલાડીઓ ઉપર પહોંચી ગઈ છે. ખેલમહાકુંભ જેવા આયોજનમાંથી નીકળતા યુવાઓ એશિયન-ઓલેમ્પિક કોમનવેલ્થ જેવા રમતોત્સવમાં ગુજરાત અને દેશનું ગૌરવ વધારી રહ્યા છે.હર્ષ સંઘવીએ ધારાસભ્ય દ્વારા પૂછાયેલાં પૂરક પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેવાડાના માનવીએ રમતગમત ક્ષેત્રે વૈશ્વિકસ્તરે સિદ્ધિ હાંસલ કરી રાષ્ટ્રનું નામ રોશન કર્યું છે. ગુજરાતમાં સ્પોર્ટ્સની ઇકો-સિસ્ટમને વધુ વ્યાપક બનાવવા માટે તાલુકા અને જિલ્લાસ્તરે સ્પોર્ટ્સ સંકુલ બનાવાઈ રહ્યાં છે. ગુજરાતમાં વર્ષ ૨૦૦૨ પહેલા માત્ર 3 સ્પોર્ટસ કોમ્પ્લેક્સ હતા, જેની સંખ્યા આજે ૨૪એ પહોંચી છે. તેમણે રાજ્યમાં ૪૪ સ્પોર્ટ્સ સ્કૂલ કાર્યરત હોવાનું પણ જણાવ્યું હતું.તાનારીરી પરફોર્મિંગ આર્ટસ કોલેજમાં ચાલતા અભ્યાસક્રમો સંદર્ભે વિધાનસભાગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મસ્થળ એવા વડનગરમાં અનેક મહત્વના રાષ્ટ્રીય સ્મારકો આવેલા છે. વડનગર એ પુરાતત્વની દ્રષ્ટીએ એક આગવી અજાયબી છે ત્યારે વિશ્વને આકર્ષિત કરનારી આ નગરી પુરાતત્વના અભ્યાસ કરનાર માટે મહત્વની સાબિત થઈ છે. જેમાં અજપાલ કુંડ (ગૌરી કુંડ), અર્જુન બારી દરવાજો અને કીર્તિ તોરણ ઉપરાંત તાના-રિરિની સમાધિ હાટકેશ્વર મહાદેવ, જૈન દેરાસર (હાથી દેરા), શર્મિષ્ઠા તળાવ, બોદ્ધકાલીન અવશેષ, વડનગર મ્યુઝિયમ, આમથેર માતા મંદિર સહિતના અનેક ઐતિહાસિક સ્થળોની ધરોહર ધરાવતું વડનગર જીવંત નગર તરીકે પ્રસ્થાપિત થયું છે. એટલું જ નહીં ગુજરાત સર્કિટ સંગ્રહાલય સહિતના અનેક પ્રકલ્પો વડનગરમાં આયોજન હેઠળ છે. ૧૫ એકર વિશાળ જમીનમાં એક મ્યુઝિયમ પણ બનવા જઈ રહ્યું છે. તે ઉપરાંત અહીં ઐતિહાસિક વડનગર વન પણ તૈયાર થઈ રહ્યું છે. વડનગરની તાના અને રીરી નામની બે બહેનો સંગીતમાં ખૂબ જ પ્રવિણ હતી. અકબરનાં નવ રત્નો પૈકીના તાનસેનનો દિપક રાગ ગાવાથી ઉત્પન્ન થયેલો દાહ આ બંને બહેનોએ મલ્હાર રાગ ગાઈને શમાવ્યો હતો. વિશ્વ પ્રસિદ્ધ આ બંને સંગીત તજજ્ઞ બહેનોના નામ સાથે વડનગરમાં તાનારીરી પરફોર્મિંગ આર્ટસ કોલેજની સ્થાપના કરવામાં આવી છે. આ કોલેજ તા. ૨૬ નવેમ્બર ૨૦૨૦ના રોજ સ્થાપના કરવામાં આવી જેમાં, બેઝિક સર્ટીફીકેટ કોર્ષ, સર્ટિફિકેટ કોર્ષ, ડિગ્રી અને ડિપ્લોમા કોર્ષ અંતર્ગત વિવિધ અભ્યાસક્રમો ચાલી રહ્યા છે.
આ કોલેજમાં ગાયન, તબલા, કથ્થક, લોકનૃત્ય, હાર્મોનિયમ અને કીબોર્ડના વિષયના કોર્ષ પર અભ્યાસક્રમ ચાલી રહ્યા છે.
રાજ્યના રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે ભારતીય સંસ્કૃતિમાં સારા સ્વાસ્થ્ય માટે યોગને મહત્વનું પરિબળ માનવામાં આવ્યું છે ત્યારે, સારું સ્વાસ્થ્ય જાળવી રાખવા યોગ મહત્વનું માધ્યમ પૂરવાર થઈ રહ્યું છે ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ‘યોગ’ને વૈશ્વિક ઓળખ અપાવી છે.
વિધાનસભા ખાતે રાજ્યમાં વિશ્વ યોગ દિનની ઉજવણી અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી શ્રી સંઘવીએ ઉમેર્યું કે વિશ્વમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે તા. ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘની ૬૯મી સભામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ યોગ દિન ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો અને સર્વ સંમતિથી યુનો દ્વારા તા. ૧૧ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ ૨૧મી જૂનને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો અને વિશ્વભરમાં તેની ઉજવણી થાય છે.
મંત્રી શ્રી સંઘવીએ ઉમેર્યું કે રાજ્યમાં યોગનું મહત્વ વધે અને નાગરિકોમાં જાગૃતિ આવે એ માટે દેશભરમાં માત્ર ગુજરાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ’ની સ્થાપના કરીને યોગનો પ્રચાર-પ્રસાર કરી રાજ્યવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે એટલું જ નહીં રાજ્ય સરકારે ‘યોગ’ને એક રમત તરીકે પણ જાહેર કરી છે. જેના પરિણામે લોકો એમાં વ્યાપક સહયોગ આપી રહ્યા છે. ચાલુ વર્ષના ખેલ મહાકુંભમાં રાજ્યભરમાંથી ૭૮,૨૮૨ નાગરિકોએ યોગાસન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે વિશ્વ યોગ દિનની ઉજવણી સંદર્ભે છેલ્લાં બે વર્ષમાં રૂ. ૪૫.૮૧ લાખનો ખર્ચ કરાયો છે. કોરોનાની વૈશ્વિક મહામારીમાં પણ યોગ સ્વાસ્થ્ય માટે મહત્વનું પરિબળ પૂરવાર થયું છે ત્યારે પણ બે વર્ષ દરમિયાન ૧,૧૫,૦૦૦ લોકોએ ઓનલાઇન ભાગ લીધો છે.
ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ પંચાલ
રાજ્યમાં સ્વદેશી વિશ્વ પ્રસિદ્ધ ટાટા મોટર્સના આગમનથી ગુજરાત ઓટોમોબાઇલ ક્ષેત્રે હબ બન્યું છે જેના પરિણામ સ્વરૂપે ટાટા પ્લાન્ટ દ્વારા આજે ૨૬,૦૦૦થી વધુ યુવાનોને ગુજરાતમાં વિવિધ રીતે પરોક્ષ અથવા પ્રત્યક્ષ રોજગારી પૂરી પાડવામાં આવે છે તેમ વિધાનસભાગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ પંચાલે જણાવ્યું હતું.
મંત્રીએ ધારાસભ્યના પેટાપ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે સાણંદના નેનો પ્લાન્ટમાં અત્યારે ભારે માંગ ધરાવતા ટીયાગો, ટીગોર સહિતના વિવિધ કાર મોડલનું ઉત્પાદન કરવામાં આવે છે. જેનાથી સાણંદના નેનો પ્લાન્ટમાં અંદાજે ૭,૦૦૦થી વધુને સીધી રોજગારી આપવામાં આવે છે.
રાજ્ય સરકાર દ્વારા ટાટા મોટર્સને સાણંદમાં નેનો કાર પ્લાન્ટ માટે રૂ. ૯૦૦ ચોરસ મીટરના ભાવે ૪૪૫ હેકટર જમીન માટે ૨૦ વર્ષની મુદતથી ૦.૧ ટકાના સાદા વ્યાજે લોન આપવામાં આવી હતી. કંપની આ લોન સમયમર્યાદામાં પરત ના ચૂકવે તો તેની પાસેથી ૧૮ ટકા વ્યાજ વસૂલ કરવાની પણ જોગવાઈ કરાઈ છે. કંપની દ્વારા અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનો ટેક્સ પણ રાજ્ય સરકારને ચૂકવવામાં આવ્યો છે તેમ મંત્રીએ ગૃહમાં ઉમેર્યું હતું.
ગુજરાતમાં ટાટા કંપનીના આવવાથી માંડલમાં મારુતિ સુઝુકી, આ ઉપરાંત USની પ્રસિદ્ધ ફોર્ડ કંપની, હોન્ડા મોટર્સ, હાલોલમાં MG મોટર્સ, ભરૂચમાં MRF ટાયર્સ જેવી અનેક રાષ્ટ્રીય- વિશ્વ પ્રસિદ્ધ કંપનીઓએ પોતાના પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપ્યા છે. જેના થકી ગુજરાતમાં પ્રત્યક્ષ-પરોક્ષ રીતે અનેક લોકોને રોજગારી પ્રાપ્ત થઈ છે જે આપણા સૌ ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે તેમ મંત્રી પંચાલે ઉમેર્યું હતું.