અમદાવાદ
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) એ ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ (IPR) અને AIC-IPR પ્લાઝમેટેક ઈનોવેશન ફાઉન્ડેશનના સહયોગથી તારીખ 4થી ફેબ્રુઆરી 2025 ના રોજ પ્લાઝમા ટેકનોલોજીના ઉપયોગ થકી “સરફેસ મોડીફીકેશન” (SMPT-2025) કરવાના વિષય પર FCIPT, IPR, ગાંધીનગર ખાતે એક સેમિનારનું આયોજન કર્યું હતું.. GCCI દ્વારા આયોજિત આ સેમિનારમાં આ ક્ષેત્રના સંશોધકો, સંલગ્ન ઉદ્યોગકારો તેમજ પ્લાઝમા સરફેસ મોડીફીકેશન માટેની વિવિધ શોધખોળમાં રસ ધરાવતા અનેક જિજ્ઞાસુઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સેમિનારના પ્રારંભમાં ગુજરાત રાજ્યના જોઈન્ટ કમિશનર ઓફ ઈન્ડસ્ટ્રીઝ શ્રી આર. ડી. બારહટ્ટે સેમિનારનું ઉદ્ઘાટન સંબોધન કર્યું હતું. તેઓએ રાજ્યમાં વિવિધ ટેક્નોલોજી અન્વયે પ્રગતિને પ્રોત્સાહિત કરવા પરત્વેની તેમજ તે થકી રાજ્યના સ્ટાર્ટઅપ એકમો અને એમ.એસ.એમ.ઈ ને મદદરૂપ થવાની સરકારશ્રીની સાતત્યપૂર્ણ પ્રતિબદ્ધતા તેમજ ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપતી અનેકવિધ પહેલ ની પ્રશંસા કરી હતી. તેઓએ ઔધોગિક સાહસોને “પ્લાઝમા સરફેસ મોડિફિકેશન” જેવી વિવિધ ઇનોવેટિવ ટેક્નોલોજી અંગે શોધખોળ કરવા તેમજ અપનાવવા પ્રોત્સાહિત કરતા સરકારશ્રીના વિવિધ કાર્યક્રમોનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ આ ખુબ જ મહત્વના સેમિનારનું આયોજન કરવા માટે આયોજકોને ખાસ અભિનંદન આપ્યા હતા તેમજ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સેમિનાર થકી થનાર વિચારવિમર્શ તેમજ તે અંગેના વિવિધ પ્રેઝન્ટેશન પ્લાઝમા ટેકનોલોજી ક્ષેત્ર ને પ્રોત્સાહિત કરવા બાબતે ખુબ જ ઉપયોગી સાબિત થશે તેમજ તે થકી સમગ્ર રાજ્યના ઔધોગિક ક્ષેત્ર માટે લાભદાયી સાબિત થશે.
GCCI ના સીનીઅર વાઇસ પ્રેસિડેન્ટ તેમજ સેમિનારના અતિથિવિશેષ શ્રી રાજેશ ગાંધીએ સેમિનારને સંબોધિત કરતાં ખોરાક, કૃષિ અને ડેરી સહિત તમામ ઉદ્યોગોમાં ઉત્પાદનની ગુણવત્તા અને કામગીરીને વધારવામાં પ્લાઝમા સપાટી ફેરફારના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેઓએ ખાસ કરીને સ્વચ્છતા (હાઇજીન) ની ગુણવત્તા વધારવા તેમજ અને ડેરી ઉત્પાદનોની “શેલ્ફ લાઇફ” વધારવા બાબતે આ ટેક્નોલોજીની નોંધપાત્ર ક્ષમતાની ખાસ નોંધ લીધી હતી. તેઓએ ઉત્પાદનની ગુણવત્તા અને ટકાઉપણું બંનેને ટેકો આપવા માટે પ્લાઝમા મોડીફીકેશન જેવી અદ્યતન તકનીક અપનાવવાની સાથે વૈશ્વિક સ્પર્ધાત્મકતા જાળવી રાખવા માટે નવીનતા અને જ્ઞાનના પ્રસાર પર ભાર મૂક્યો હતો. તેઓએ વિવિધ વ્યવસાયોને આજના આધુનિક ગ્રાહકની સતત અવિર્ભાવ થઇ રહેલ માંગ ને પુરી કરવા, વિવિધ ધારાધોરણોને પરિપૂર્ણ કરવા તેમજ સાથે સાથે જે તે ઉદ્યોગમાં વિકાસ તેમજ સફળતા પ્રાપ્ત કરવા “સહયોગ” (Collaboration) તેમજ “ઇનોવેશન” ને અપનાવવાના મહત્વ પર ખાસ ભાર મૂક્યો હતો.
સેમિનારના ઉદ્ઘાટન સત્રની પુર્ણાહુતી પછી આયોજિત થયેલ SMPT-2025 સત્ર દરમિયાન આ વિષય પર ઊંડી સમજ પૂરી પાડતા વિવિધ ટેક્નિકલ સેશન્સનું આયોજન થયું હતું.આ સત્ર દરમિયાન નિષ્ણાત વકતાગણ દ્વારા વિવિધ ઔદ્યોગિક ક્ષેત્ર જેવાકે લાઇફ સાયન્સીસ, કૃષિ તેમજ મટીરીઅલ એન્જીનીઅરીંગ, ને આવરી લેતાં ક્ષેત્રોમાં પ્લાઝમા સરફેસ મોડીફીકેશન અંગે આધુનિક શોધખોળ અને તે દ્વારા પ્રાપ્ત વિવિધ શોધ કેવી રીતે લાભદાયી સાબિત થઇ શકે તે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સેમિનાર થકી સર્વે સહભાગીઓને સુંદર તેમજ વિસ્તૃત જાણકારી પ્રાપ્ત થઇ હતી અને અન્ય સહભાગીઓ સાથે નેટવર્કિંગ કરવાનો અવસર પણ પ્રાપ્ત થયો હતો. સેમિનાર દ્વારા પ્રાપ્ત થયેલ વિચાર વિમર્શ નો આ અવસર ચોક્કસ ભવિષ્યલક્ષી સહયોગ તેમજ પ્લાઝમા ટેક્નોલોજી અંગે શોધખોળ માટે તકો પુરી પાડશે અને આ ક્ષેત્રે નવીનતમ શોધખોળ કરી સમગ્ર ઉદ્યોગજગતને અનેકવિધ લાભ પુરા પાડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.