
ગીતામંદિર એસ ટી સ્ટેન્ડથી સિવિલ હોસ્પિટલ જવા માટે શટલરિક્ષામાં બેઠેલા વૃદ્ધાની બેગમાં બ્લેડ મારી શટલરિક્ષા ગેંગે રોકડા રૂ. 1.7 લાખ ચોરી લીધા હતા. આ મામલે વૃદ્ધાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મેઘાણીનગરમાં જય ગાયત્રીનગરમાં રહેતા સજનબા કિરીટસિંહ જાડેજા(ઉ 67) ગત તા 6 મે ના રોજ બપોરના સમયે ગીતામંદિર બસ સ્ટેન્ડથી સિવિલ હોસ્પિટલ સુધી જવા માટે એક શટલરિક્ષામાં બેઠા હતા. આ સમયે અગાઉથી રિક્ષામાં ત્રણ પુરુષો પણ બેઠા હતા. રિક્ષાચાલકે વૃદ્ધાને બેસવાનું કહેતા વૃદ્ધાએ કહ્યું કે આમાં કેવી રીતે બેસી શકાશે રિક્ષામાં અગાઉથી ત્રણ લોકો બેઠેલા છે. તેથી રિક્ષા ચાલકે કહ્યું કે હું જગ્યા કરી આપું છું તમે બેસી જાઉં. વૃદ્ધા રિક્ષામાં બેસી ગયા બાદ સારંગપુર બ્રીજ પહોંચ્યા ત્યાં સુધીમાં રિક્ષામાં અગાઉથી બેઠેલા ત્રણ લોકોએ વૃદ્ધાના હાથમાં રહેલા થેલાને બ્લેડ મારીને તેમાં રહેલા રોકડા રૂપિયા 1.7 લાખ ચોરી કરી લીધા હતા. રૂપિયા ચોરી કરી લીધા બાદ રિક્ષા ચાલકે વૃદ્ધાને એક પેસેન્જરને ઉતારીને આવું છું કહીને સારંગપુર બ્રિજ પાસે ઉતારી મુક્યા અને વૃદ્ધા પાસેથી ભાડુ લીધા વિના રિક્ષા લઈને રફુચક્કર થઇ ગયો હતો. થોડીવાર બાદ વૃદ્ધાની નજર થેલા પર પડતા થેલો નીચેના ભાગેથી કપાઈ ગયેલો જોવા મળ્યો અને અંદર રહેલા રોકડા રૂપિયા પણ ગાયબ હતા.