
સુપ્રીમ કોર્ટના સુઓ મોટો રિટ પિટિશન અંગેના આદેશને અનુરૂપ ગુજરાતમાં રખડતા કૂતરાઓની ગણતરી અને અહેવાલ તૈયાર કરવાની કામગીરી શરૂ થઈ છે. જિલ્લા પંચાયત તેની તમામ સમિતિઓ, આરોગ્ય અને શિક્ષણ વિભાગ સાથે મળીને પોતાની પરિસરોમાં રખડતા કૂતરાઓની ગણતરી કરી છે અને આ કામગીરી હજુ પણ વિવિધ લેવલ પર ચાલુ છે ત્યારે હવે શિક્ષકોને પણ કૂતરા ગણવાની કામગીરી સોંપવાનો પરિપત્ર કરાયો છે.
સુપ્રીમ કોર્ટે જાહેર સુરક્ષા અને રખડતા પશુઓના વ્યવસ્થાપન અંગેના મુદ્દે સુઓ મોટો કાર્યવાહી શરૂ કરી છે, જેમાં શાળા, હોસ્પિટલ જેવા સંસ્થાકીય વિસ્તારોમાંથી રખડતા કૂતરાઓને દૂર કરવા અને તેમની વસ્તીનું નિયંત્રણ કરવાના નિર્દેશો આપ્યા છે. આ આદેશને અમલમાં મૂકવા માટે 11 ફેબ્રુઆરીએ શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. આ પરિપત્ર અનુસાર તમામ શૈક્ષણિક સંસ્થાઓએ પોતાના કેમ્પસ અને આસપાસના વિસ્તારમાં રખડતા કૂતરાઓની સંખ્યા, તેમની હાજરી અને સ્થાનિક વહીવટીતંત્રને જાણ કરવા અંગેની વિગતો એકત્ર કરવાની રહેશે. આ માહિતી જિલ્લા શિક્ષણ અધિકારીને ત્રણ દિવસમાં મોકલવી પડશે, જે પછી તેને સંકલિત કરીને ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડને મોકલાશે. જિલ્લા પંચાયતના કર્મચારીઓ બાદ હવે શિક્ષકો માટે પણ આદેશ થયા છે.