
ધી ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા આજે સચિવાલય ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી આ શિબિરમાં અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી આયોજિત આ શિબિરમાં કુલ 223 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. “ધી ગુજરાત સચિવાલય ફેડરેશન” દ્વારા કરવામાં આવેલી અપીલને સકારાત્મક પ્રતિસાદ મળતા મોટી સંખ્યામાં રક્તદાતાઓ આગળ આવ્યા હતા.આ પ્રસંગે મંત્રી અર્જુન મોઢવાડિયાએ રક્તદાનને મહાદાન ગણાવી સૌને નિયમિત રક્તદાન માટે પ્રેરિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આવી સામાજિક પ્રવૃત્તિઓથી જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળી શકે છે અને સમાજમાં સહકારની ભાવના મજબૂત બને છે. શિબિરમાં માર્ગ અને મકાન વિભાગના સચિવ પી.આર. પટેલીયા સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રતિનિધિઓ અને વિવિધ સંસ્થાઓના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ફેડરેશનના હોદેદારો દ્વારા રક્તદાતાઓને પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન આપી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત આયોજન અને ઉત્સાહપૂર્ણ વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.