સોમનાથના અતિથિ ગૃહોમાં ઓનલાઈન બુકિંગ કરાવતા હોવ તો ચેતજો

Spread the love

 

જો તમે સોમનાથ દર્શન કરવા જવાના હોવ અને સોમનાથ ટ્રસ્ટના અલગ અલગ ત્રણ અતિથિ ગૃહમાં રોકાવા માટે ઓનલાઈન બુકીંગ કરાવતા હોવ તો સાવચેત રહેજો. કારણ કે, ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે સોમનાથ ટ્રસ્ટના નામે ચાલતી ફેક વેબસાઈટનો પર્દાફાશ કર્યો છે. રાજસ્થાનથી ચાલતા આ રેકેટમાં અત્યાર સુધીમાં 90 યાત્રાળુઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાનની આ ગેંગ ચોક્કસ મોડસ ઓપરેન્ડીથી યાત્રાળુઓને નિશાન બનાવતા હતા. પોતે બનાવેલી ફેક વેબસાઈટ ગુગલ સર્ચમાં ઉપર દેખાય તે માટે પેઈડ પ્રમોશન પણ કર્યું હોવાનો ખુલાસો થયો છે. વિશ્વવિખ્યાત શ્રી સોમનાથ ટ્રસ્ટના નામે ફેક વેબસાઈટ બનાવી ભક્તોને છેતરતા ગેંગનો સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે પર્દાફાશ કર્યો છે. પોલીસે રાજસ્થાનથી 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેઓ સોમનાથ ટ્રસ્ટના સાગર દર્શન અતિથિ ગૃહ, મહેશ્વરી અતિથિ ગૃહ અને લીલાવતી અતિથિ ભુવનના બુકીંગ માટે એક ફેક વેબસાઈટ બનાવી હતી. જેમાં પોતાનો નંબર મૂકીને યાત્રાળુઓ પાસેથી બુકીંગના નામે પૈસા ખંખેરતા હતા.
તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ મૂળ વેબસાઈટ જેવી જ ડિઝાઈન અને લોગોનો ઉપયોગ કરી ડુપ્લિકેટ સાઈટ તૈયાર કરી હતી. ગૂગલ સર્ચમાં ઉપર આવે તે માટે પેઈડ પ્રમોશન પણ કરાયું હતું. ભક્તો ઓનલાઈન પૂજા કે દાન માટે ક્લિક કરતા જ તેઓને ખોટા મોબાઈલ નંબર પર સંપર્ક કરવા દોરવામાં આવતા હતા. ત્યારબાદ આરોપીઓ UPI અને બેંક ટ્રાન્સફર મારફતે રૂપિયા પડાવતા હતા. આ કામના આરોપીઓ દ્વારા એકસાથે મળી સોમનાથ ટ્રસ્ટ હસ્તકની સોમનાથ સાગર દર્શન, લીલાવતી અતિથીભવન તથા મહેશ્વરી અતિથી ભવન નામની હોટેલોના નામની A। દ્વારા ફેક વેબસાઇટો બનાવી હતી. આ ઉપરાંત AGODA પ્લેટફોર્મ પર સોમનાથ ટ્રસ્ટની મંજુરી વગર હોટલોનું ગેરકાયદેસર રજીસ્ટ્રેશન કરાવેલ હતું. હોટલના મુળ ફોટાઓનો ઉપયોગ કરી તેમાં એડિટિંગ કરીને ખોટા બુકીંગ મોબાઇલ નંબરો દર્શાવ્યા. પર્યટકોને લોકેશન આપવા માટે લોકેશન ચેન્જર નામની એપ્લીકેશનનો ઉપયોગ કરતા હતા. પર્યટકોને ભ્રમિત કરતા હોઈ અને સાયબર સીંડીકેટના આરોપીઓ છેતરપીંડીના રૂપિયા મેળવવા સારુ QR CODE સ્કેનર મારફતે રૂપિયા મેળવી તેના બદલામાં AI દ્વારા જનરેટ કરવામાં આવેલ બુકિંગ રીસીપ્ટ ભોગબનારને મોકલી આપતા હતા.જ્યારે પર્યટકો અતિથિ ગૃહ પર પહોંચે ત્યારે માલૂમ પડતું તે તેની સાથે ફ્રોડ થયો છે.

 

ઝડપાયેલા આરોપીઓના નામઃ

-સચીન સ/ઓ સુરેશ હરસાના ધંધો-અભ્યાસ, રહે. સેકટર-૮, પ્રતાપનગર, જયપુર, રાજસ્થાન
-અભિષેક સ/ઓ રામનિવાસ ઉપાધ્યાય ધંધો- અભ્યાસ, રહે. જસવંતનગર, ખાતીપુર,જયપુર, રાજસ્થાન
-રાજકુમાર સ/ઓ મહારાણાપ્રતાપ,ધંધો- અભ્યાસ, રહે. રજતપથ, માનસરોવર, જયપુર, રાજસ્થાન
-શેરસિંગ સ/ઓ હેતરામસિંગ ધંધો- નોકરી, રહે. સ્વર્ણપથ, માનસરોવર, જયપુર રાજસ્થાન
-માધવ સ/ઓ લક્ષ્મણસિંહ ગુર્જર, ધંધો- અભ્યાસ, રહે. સેઉ પો.સ્ટે. ઘાટા, તા.જી.ડીગ રાજસ્થાન
-વિષ્ણુકુમાર સ/ઓ રામઅવતાર ધંધો-અભ્યાસ, રહે.હીરાપથ, માનસરોવર, જયપુર, રાજસ્થાન

આ પ્રકારની છેતરપિંડીથી બચવા આ બાબતનું ધ્યા્ન રાખોઃ

-સોમનાથ ખાતે રહેવાની વ્યવસ્થા માટે માત્ર સત્તાવાર વેબસાઇટ https://somnath.org ઉપરથી જ બુકીંગ કરવી.
-ગૂગલ સર્ચમાં દર્શાવાતી અજાણી વેબસાઇટો ઉપર વિશ્વાસ ન કરવો.
-મોબાઇલ નંબર / વોટ્સએપ મારફતે બુકીંગ પેમેન્ટ ન કરવી.
-હોટલના ફોટા, નામ અને રિવ્યુ જોઈને જ ચુકવણી કરવી.
-શંકાસ્પદ વેબસાઇટ / નંબર મળતા તાત્કાલિક પોલીસને જાણ કરવી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *