મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા રાજ્યના નાગરિકો અને ખાસ કરીને ખેડૂતોના હિતમાં કેટલાંક અત્યંત મહત્વના અને ઐતિહાસિક નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે. સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું હતું કે, આઝાદી બાદ પ્રથમ વખત જમીન સંપાદન અને વહીવટી પ્રક્રિયામાં આવા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.
સરકારના આ નિર્ણયોથી જમીનના ખરીદ-વેચાણની પ્રક્રિયામાં આવતી કાયદાકીય અડચણો દૂર થશે અને ગ્રામીણ વિસ્તારોમાં વર્ષોથી અટવાયેલા પ્રશ્નોનો કાયમી ઉકેલ આવશે. આ સાથે જ રાજ્યના માળખાકીય વિકાસને વેગ આપવા માટે રસ્તાઓના રિસરફેસિંગ માટે પણ કરોડો રૂપિયાના બજેટની ફાળવણી કરવામાં આવી છે.
જમીન મહેસૂલમાં ઐતિહાસિક સુધારો: 135-ડી વટહુકમ બહાર પડાશે
મહેસૂલ વિભાગમાં વહીવટી પારદર્શિતા લાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનેક મોટા સુધારા કર્યા છે. જેમાં સૌથી મહત્વનો નિર્ણય 135-ડી વટહુકમ અંગે લેવામાં આવ્યો છે. જમીન સહિતની સ્થાવર મિલકતોના ખરીદ-વેચાણ વખતે અત્યાર સુધી જે 135-ડીની નોટિસ બજાવવામાં આવતી હતી, તેને હવે કેટલાક કિસ્સાઓમાં રદ કરવાનો નિર્ણય લેવાયો છે. આ અંગેના 135-ડી વટહુકમ પર રાજ્યપાલની સહી પણ થઈ ગઈ છે. આ ફેરફારથી જમીનના સોદામાં સામાન્ય લોકોને પડતી હાલાકી દૂર થશે અને અંદાજે 50 હજાર જેટલા કાયદાકીય કેસોમાં રાહત મળશે. હવેથી મિલકતના ખરીદ-વેચાણની પ્રક્રિયામાં વચ્ચે આવતી 135-ડીની નોટિસ બજાવવાની જરૂર રહેશે નહીં, જે સામાન્ય જનતા માટે ખૂબ મોટો ક્રાંતિકારી નિર્ણય સાબિત થશે.
આ પણ વાંચો: ચુંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું : કચ્છ બાદ હવે અહીંથી AAP-કોંગ્રેસના ઢગલો કાર્યકરો BJP માં જોડાયા
ખેડૂતલક્ષી નિર્ણયો: પ્રીમિયમ મુક્તિ અને ટુકડા ધારામાં રાહત
ખેડૂતોના હિતને ધ્યાને રાખીને સરકારે જમીન સંપાદનના કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, રિવાઇઝ બેઝ ખેતી માટે પણ અનેક રાહતો જાહેર કરવામાં આવી છે. સૌથી મોટી રાહત આપતા મંત્રીએ જણાવ્યું કે, ખેતીમાંથી બિન-ખેતી (NA) કરાવવા માટે હવે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ વસૂલવામાં આવશે નહીં. સાથોસાથ, જમીનના ટુકડા ધારા બાબતે પણ સરકારે ઉદાર અભિગમ અપનાવ્યો છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારો માટે 10 ગુઠાની મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેનાથી હવે ગ્રામીણ વિસ્તારોમાં ટુકડા ધારા હેઠળની જમીનો કોઈપણ દંડ વિના નિયમિત થઈ શકશે. આ નિર્ણયથી નાના ખેડૂતોને તેમની જમીન ટ્રાન્સફર કરવામાં મોટી સરળતા રહેશે.
રૂપિયા 3400 કરોડના ખર્ચે રસ્તાઓનું થશે નવિનીકરણ
રાજ્યમાં વાહનવ્યવહાર અને પરિવહનને વધુ સુવિધાજનક બનાવવા માટે સરકાર દ્વારા માળખાકીય સુવિધાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી કે, રાજ્યના 2342 જેટલા રસ્તાઓના રિસરફેસિંગ અને મજબૂતીકરણ માટે 3400 કરોડ રૂપિયાની માતબર જોગવાઈ કરવામાં આવી છે. રસ્તાઓની ગુણવત્તા જાળવી રાખવા માટે સરકાર કટિબદ્ધ છે અને જે ઊણપો જોવા મળતી હતી તેને દૂર કરવા માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે. રસ્તાઓના સમયસર મેન્ટેનન્સ (જાળવણી) માટે પણ ચોક્કસ નીતિ નક્કી કરવામાં આવી છે, જેથી નાગરિકોને ખાડા મુક્ત અને સુવિધાજનક રસ્તાઓ મળી રહે.