અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે દિવસ પહેલા એક પરિવારે બજારમાંથી ઢોસા બનાવવા માટેનું ખીરું મંગાવ્યું હતું. ઢોસા બનાવીને ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત અચાનક બગડી હતી. આ ઘટનામાં સારવાર દરમિયાન 3 મહિના અને 4 વર્ષની બે બાળકીના મોત નિપજ્યાં છે. જ્યારે માતા-પિતા હાલ ખાનગી હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. પરિવારે કહ્યું છે કે, સાંજે ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા તો સવારે બધાને ઊલટીઓ થવા લાગી હતી.
આ સમગ્ર ઘટનામાં તંત્રની નિષ્ક્રિયતા પણ સામે આવી રહી છે. ફૂડ કોર્પોરેશન વિભાગ અને સ્થાનિક આરોગ્ય તંત્ર ચૂંટણીના કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાનું કહેવાઈ રહ્યું છે, અને અસરગ્રસ્ત પરિવારની યોગ્ય રીતે સંભાળ લેવામાં આવી નથી. બે નાની દીકરીઓના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ચાંદખેડા પોલીસે આ મામલે તપાસ શરૂૂ કરી છે અને ખીરાની ક્વોલિટી તેમજ કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ગૌરીશંકર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ખીરુમાંથી ઢોસા બનાવીને ખાધા તો મારા દીકરા, પુત્રવધુ, 2 પૌત્રીને ઊલટી થવા લાગી હતી. જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન પહેલા 3 મહિનાની બાળકીનું મોત થયું હતું. જે બાદ 4 વર્ષની બાળકીનું મોત થયું હતું. મારો દીકરો અને પૌત્રવધૂ કે.ડી હોસ્પિટલમાં દાખલ છે. આ મામલે પોલીસ કાર્યવાહી કરે તેવી માંગણી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે, ચાંદખેડા વિસ્તારમાં બનેલી આ ઘટના અંગે અમે તપાસ કરી રહ્યા છીએ.
