
‘નાની દુકાનમાંથી મોટી કંપનીમાં ગયા’
કોંગ્રેસ નેતા મનીષ દોશીએ કટાક્ષ કરતા કહ્યું કે, ‘ખેડૂત હિતની વાત કરનારા અને ખેડૂતોના નામે લાંબા સમય સુધી આંદોલન કરનારા રાજુ કરપડા હવે નાની દુકાન (આમ આદમી પાર્ટી) માંથી મોટી કંપની (ભાજપ)માં જોડાયા છે. અત્યાર સુધી જેઓ ખેડૂતોના પ્રશ્ને આંદોલનો કરતા હતા, તેઓ હવે ખેડૂતોની સમસ્યા મુદ્દે મૌન ધારણ કરી લેશે.’
‘આપ’ ભાજપની ‘બી ટીમ’ હોવાનો પુનરોચ્ચાર
કોંગ્રેસ પ્રવક્તાએ વધુમાં ઉમેર્યું કે, “અમે પહેલેથી જ કહેતા હતા કે આમ આદમી પાર્ટી એ ભાજપની ‘બી ટીમ’ છે. રાજુ કરપડાનો ભાજપ પ્રવેશ એ અમારા માટે કોઈ આશ્ચર્યની વાત નથી. કરપડાને પહેલા ‘વાયા’ મેસેજ આવતો હતો, હવે ભાજપમાં ગયા છે એટલે ‘ડાયરેક્ટ’ મેસેજ આવશે. ભાજપમાં જોડાયા બાદ તેઓ જે બોલ્યા તે બધું જ લખેલી સ્ક્રિપ્ટ મુજબનું હતું.”
ખેડૂતો સાથે વિશ્વાસઘાતનો આરોપ
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે જે લોકો ગઈકાલ સુધી સરકાર સામે ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતા હતા, તેઓ હવે એ જ સરકારના ખોળામાં જઈને બેસી ગયા છે. આ ખેડૂતોના ભરોસા સાથે મોટો વિશ્વાસઘાત છે. ભાજપમાં જોડાયા બાદ હવે તેઓ ખેડૂતોના પાયાના પ્રશ્નો ભૂલી જશે તેવો દાવો પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.