વિદેશી એરલાઈન્સોને 31 મે સુધી દૈનિક માત્ર એક જ ફ્લાઈટ ઉડાવવાની મંજૂરી, દુબઈના નિર્ણયથી ભારત વિમાન કંપનીઓને પડશે ફટકો

Spread the love
અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા સંકટ વચ્ચે દુબઈએ એક મોટો નિર્ણય લીધો છે. દુબઈએ વિદેશી એરલાઈન્સોને દૈનિક માત્ર એક જ ફ્લાઈટ ઉડાવવાની મંજૂરી આપી છે. આ નિયમ 31 મે સુધી લાગુ રહેશે. આ નિર્ણયની સૌથી ગંભીર અસર ભારતીય એરલાઈન્સ પર પડી છે, કારણ કે ભારતથી દુબઈ સૌથી વધુ ફ્લાઈટ જાય છે.

2025માં ભારતથી 1.19 કરોડ લોકો દુબઈ ગયા

 

વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (DXB)નું પણ નામ સામેલ છે.

ભારતથી મોટાપાયે લોકો દુબઈ જતા હોય છે. વર્ષ 2025માં લગભગ એક કરોડ 19 લાખ ભારતીયો દુબઈ ગયા હતા. એટલે કે ભારત માટે દુબઈ એરપોર્ટ સૌથી મોટું માર્કેટ છે.

 

દુબઈએ એરલાઈન્સોને કર્યો મેઈલ

 

દુબઈ એરપોર્ટે એરલાઈન્સોને 27 માર્ચે ઈમેલ મોકલ્યો છે. તેમાં કહેવાયું છે કે, ઈરાન સંકટના કારણે 20 એપ્રિલથી 31 મે સુધી વિદેશી એરલાઈન્સની દૈનિક માત્ર એક જ ફ્લાઈટ દુબઈ આવી શકશે. આ નિર્ણયને ‘વન રોટેશન પર ડે’ કહેવાયું છે. એટલે કે ફ્લાઈટ માત્ર એક જ વખત આવી અને જઈ શકશે.

 

ભારતીય એરલાઈન્સોને નુકસાન

 

દુબઈના આ નિર્ણયના કારણે ભારતીય એરલાઈન્સોને સૌથી વધુ નુકસાન થયું છે, કારણ કે એરલાઈન્સોએ એપ્રિલ-મેમાં દુબઈ જતી ઘણી ફ્લાઈટોનું બુકિંગ કરી દીધું છે. ડેટા મુજબ એરલાઈન એર ઈન્ડિયા એક્સપ્રેસે એપ્રિલ-મેમાં 750થી વધુ ફ્લાઈટોનું સંચાલન કરવાની છે, જ્યારે ઈન્ડિગોએ 481 ફ્લાઈટોનું સંચાલન કરવાની યોજના બનાવી હતી.

 

માત્ર વિદેશી એરલાઈન્સ પર નિયમ થોપાતા વિવાદ

 

દુબઈએ માત્ર વિદેશી એરલાઈન્સ પર નિયમ થોપી દેતા વિવાદ ઉભો થયો છે. દુબઈએ પોતાની એમિરેટ્સ અને ફ્લાઈદુબઈ સહિતની એરલાઈન્સ પર આવો કોઈ નિયમ લાદ્યો નથી. તેમની એરલાઈન્સો દૈનિક અનેક ફ્લાઈટનું સંચાલન કરી રહી છે. એટલે કે દુબઈ એરલાઈન્સ સંપૂર્ણ ક્ષમતા સાથે ઉડી રહી છે. જ્યારે ભારતીય એરલાઈન્સને મહિને માત્ર 30થી 31 ફ્લાઈટ સુધી મર્યાદિત કરી દેવાઈ છે.

 

ભારતીય એરલાઈન્સો નારાજ

 

ઈન્ડિગોએ કહ્યું હતું કે, દુબઈમાં ગરમી દરમિયાન દિલ્હી-દુબઈ વચ્ચે દૈનિક 15 ફ્લાઈટો સંચાલન કરવાની મંજૂરી મળી હતી, જોકે હવે આ નિર્ણયના કારણે તમામ એરલાઈન્સો મહિનામાં માત્ર 30થી 31 ફ્લાઈટોનું જ સંચાલન કરી શકશે. ઈન્ડિગોએ એવું પણ કહ્યું કે, આ નિયમના કારણે તેના અનેક વિમાનો ખાલી પડી રહેતા ભારે નુકસાન થઈ રહ્યું છે.

 

ભારતીય એરલાઈન્સ સંગઠને કેન્દ્ર સરકારને લખ્યો પત્ર

 

ભારતની તમામ એરલાઈન્સના સંગઠન ફેડરેશન ઑફ ઈન્ડિયન એરલાઈન્સ (FIA)એ 31 માર્ચે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે અને દુબઈ સાથે નિયમ હટાવવા વાતચીત કરવાની માંગ કરી છે. જો દુબઈ નિયમ ન હટાવે તો ભારતમાં આવતી દુબઈની તમામ એરલાઈન્સો પર પણ આવો પ્રતિબંધ લાદવાની માંગ કરાઈ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *