
તેમણે કહ્યું કે, જો લોકો પ્રેમથી માનશે તો ઠીક છે, નહીં તો અમારી પાસે બીજી રીતો પણ છે.
નમાજથી કોઈ રોકટોક નથી, પણ રસ્તા પર અરાજકતા નહીં ચલાવાય
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે: “જો નમાજ પઢવી હોય તો નક્કી કરેલી જગ્યાએ જઈને પઢો. જો નમાજ પઢનારાઓની સંખ્યા વધારે હોય તો અલગ-અલગ શિફ્ટમાં પઢી લો. અમે નમાજ પઢતા કોઈને રોકીશું નહીં, પરંતુ રસ્તાઓ પર અરાજકતા ફેલાવવા નહીં દઈએ. રસ્તાઓ સામાન્ય જનતાની અવરજવર માટે છે, ત્યાં નમાજ પઢવા કે ભીડ એકઠી કરવાની મંજૂરી આપી શકાય નહીં.”
તેમણે ઉમેર્યું કે, “જ્યારે લોકો મને પૂછે છે કે શું યુપીમાં રસ્તા પર નમાજ થાય છે? ત્યારે મારો જવાબ હોય છે – બિલકુલ નહીં. કોઈને પણ ટ્રાફિક જામ કરીને સામાન્ય નાગરિકોને પરેશાન કરવાનો અધિકાર નથી.”
“સંખ્યા વધારે હોય તો કંટ્રોલ કરી લો”
સીએમ યોગીએ વિપક્ષ અને અન્ય સંગઠનો પર નિશાન સાધતા એક કિસ્સો શેર કર્યો હતો. તેમણે કહ્યું, “કેટલાક લોકોએ મને આવીને કહ્યું કે સાહેબ અમારી સંખ્યા વધારે છે, તો રસ્તા વગર કેવી રીતે મેળ પડશે? મેં તેમને સ્પષ્ટ કહી દીધું કે જો તમારા ઘરમાં રહેવાની જગ્યા ન હોય તો સંખ્યા કંટ્રોલ કરી લો. જો સામર્થ્ય ન હોય તો શા માટે નકામી સંખ્યા વધારવામાં આવી રહી છે? દેશમાં દરેક વ્યક્તિએ સિસ્ટમ અને કાયદાના શાસનનું પાલન કરવું જ પડશે.”
બરેલી હિંસાનો ઉલ્લેખ: “તાકાત જોઈ લીધી છે”
ઉત્તર પ્રદેશના બરેલીમાં સપ્ટેમ્બર 2025 માં ‘આઈ લવ મહોમ્મદ’ મામલે થયેલા વિવાદ અને પથ્થરમારાનો ઉલ્લેખ કરતા સીએમ યોગીએ કહ્યું કે, “બરેલીમાં કેટલાક લોકોએ હાથ અજમાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેમણે સરકારની તાકાત પણ જોઈ લીધી છે. કાયદો દરેક માટે સમાન છે અને કોઈને પણ રસ્તા જામ કરવાની કે અરાજકતા ફેલાવવાની છૂટ નહીં મળે.”
પહેલા કટ્ટા-બૉમ્બ બનતા હતા, હવે બ્રહ્મોસ મિસાઈલ બને છે
ઉત્તર પ્રદેશના વિકાસ અને બદલાયેલી છબી વિશે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે:
વિકાસ અને રોકાણ: યુપીની ઓળખ પહેલાં ગેરકાયદેસર કટ્ટા (બંદૂક) અને બૉમ્બથી થતી હતી, પરંતુ આજે અહીં બ્રહ્મોસ મિસાઈલ બની રહી છે.
નવો માહોલ: જો નકારાત્મક માહોલ હોય તો ‘વન ડિસ્ટ્રિક્ટ-વન માફિયા’ (એક જિલ્લો, એક માફિયા) પેદા થાય છે, પરંતુ જો સકારાત્મક માહોલ હોય તો ‘વન ડિસ્ટ્રિક્ટ-વન પ્રોડક્ટ’ બને છે. યુપીમાં અત્યારે ઝડપથી રોકાણ આવી રહ્યું છે અને રોજગાર વધી રહ્યા છે. રાજ્ય ટૂંક સમયમાં 1 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનવા જઈ રહ્યું છે.
મહિલા સુરક્ષામાં મોટો સુધારો
સીએમ યોગીના મતે, પહેલા યુપીમાં મહિલાઓ દિવસના સમયે પણ બહાર નીકળતા ડરતી હતી, જ્યારે આજે તેઓ નાઈટ શિફ્ટમાં પણ સુરક્ષિત કામ કરીને ઘરે પરત ફરી રહી છે. હવે કોઈ દીકરીની છેડતી કરવાની હિંમત કરી શકતું નથી. યુપી હવે ‘બીમારુ રાજ્ય’ મટીને ‘રેવન્યુ સરપ્લસ’ (નફાકારક) રાજ્ય બની ગયું છે અને છેલ્લા ૬ વર્ષથી આ સ્થિતિ જળવાઈ રહી છે.
પશ્ચિમ બંગાળમાં પણ ઉઠાવ્યો હતો મુદ્દો
તાજેતરમાં જ સંપન્ન થયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ યોગી આદિત્યનાથે રસ્તા પર નમાજનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો. તેમણે મમતા બેનર્જી પર તુષ્ટિકરણની રાજનીતિનો આરોપ લગાવતા કહ્યું હતું કે, “દીદી બંગાળમાં રસ્તાઓ પર નમાજ પઢાવે છે અને હિન્દુ તહેવારો પર પ્રતિબંધ મૂકે છે. પરંતુ યુપીમાં આવું શક્ય નથી. નો કરફ્યુ, નો દંગા, યુપી મેં સબ ચંગા.”
નોંધનીય છે કે યોગી સરકારે 2022-23 માં જ આદેશ જાહેર કરીને ઈદ, અલવિદા જુમા કે અન્ય કોઈ પણ દિવસે રસ્તા પર નમાજ પઢવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો અને ધાર્મિક કાર્યક્રમો માત્ર મસ્જિદો અથવા ઈદગાહની અંદર જ કરવાની સૂચના આપી હતી.