મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં શુક્રવારે સવારે એક વાઘે ચાર મહિલાઓને મારી નાખી. આ મહિલાઓ શુક્રવારની સવારે ટીમરુના પાન એકઠા કરી રહી હતી, ત્યારે જ આ ઘટના બની. આ માહિતી વન વિભાગના અધિકારીએ આપી છે. અધિકારીએ જણાવ્યું કે આ ઘટના જિલ્લા મુખ્ય મથકથી લગભગ 70 કિલોમીટર દૂર સિંદેવાહી તહસીલના ગુંજેવાહી ગામ પાસે બની હતી.
ચાર મહિલાઓના મોત થયા
મહિલાઓનું એક જૂથ જંગલમાં ટીમરુના પાન એકઠા કરવા માટે ગયું હતું, જેનો ઉપયોગ મુખ્યત્વે બીડી બનાવવા માટે કુદરતી પડ તરીકે થાય છે. અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે તેઓ પાન એકઠા કરવામાં વ્યસ્ત હતી, ત્યારે જ એક વાઘે હુમલો કર્યો હતો. આ હુમલામાં ચાર મહિલાઓના મોત થયા છે.
પંચનામા પછી વધુ માહિતી સામે આવશે
મૃતક મહિલાઓની ઓળખ કાવદાબાઈ મોહુરલે (45), અનીતાબાઈ મોહુરલે (40), સુનીતા મોહુરલે (38) અને સંગીતા ચૌધરી (50) તરીકે થઈ છે. આ તમામ ગુંજેવાહી ગામની રહેવાસી હતી. જોકે, એ તાત્કાલિક સ્પષ્ટ થઈ શક્યું નથી કે વાઘે તમામ મહિલાઓને એક જ જગ્યાએ અને એક જ સમયે મારી છે કે અલગ-અલગ જગ્યાએ મારી છે. ઘટનાની માહિતી મળતા જ વન અધિકારીઓની એક ટીમ તે વિસ્તારમાં પહોંચી ગઈ હતી. મુખ્ય વન સંરક્ષક (ચંદ્રપુર સર્કલ) આર.એમ. રામાનુજમે જણાવ્યું કે, પંચનામા પછી વધુ વિગતો સામે આવશે.
