ફરિયાદી જનતા માટે ખુશખબર: પોલીસ ફરિયાદોના ઉકેલ માટે ગૃહ વિભાગનું નવું કેન્દ્ર શરૂ

Spread the love
રાજ્યમાં પોલીસ અને કાયદો-વ્યવસ્થાને લગતી ફરિયાદોના ઝડપી અને અસરકારક નિકાલ માટે ગૃહ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સચિવાલયના બ્લોક નં. 2 ખાતે વિશેષ જન ફરિયાદ નિવારણ કેન્દ્ર શરૂ કરવામાં આવશે, જ્યાં આઈજી (IG) કક્ષાના IPS અધિકારીઓ સીધા લોકોની ફરિયાદો સાંભળશે અને તેના નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરશે.
અરજીઓ અને રજૂઆતો પર ઉચ્ચ અધિકારીઓ સીધી નજર
તાજેતરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગૃહ વિભાગ દ્વારા શરૂ કરાયેલા આ કેન્દ્રનો હેતુ પોલીસ તંત્ર સંબંધિત પેન્ડિંગ અને ગંભીર ફરિયાદોનો ઝડપી નિકાલ લાવવાનો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવતી અરજીઓ અને રજૂઆતો પર ઉચ્ચ અધિકારીઓ સીધી નજર રાખશે.
ગૃહ વિભાગે ફરિયાદ નિવારણ કેન્દ્ર શરૂ કર્યું
સૂત્રોના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રીના ‘સ્વાગત ઓનલાઈન’ કાર્યક્રમની તર્જ પર ગૃહ વિભાગ માટે આ અલગ ફરિયાદ નિવારણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. જેના કારણે સામાન્ય નાગરિકોને પોતાની રજૂઆત માટે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સુધી પહોંચવાની વધુ સરળતા મળશે.
હાલમાં જિલ્લા કક્ષાએ પોલીસ કામગીરીના સુપરવિઝન અને મોનિટરિંગની જવાબદારી સંભાળતા IPS અધિકારીઓને હવે લોક ફરિયાદોના નિરાકરણની વધારાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. કામકાજના દિવસોમાં નિયમિત રીતે અરજદારોની રજૂઆતો સાંભળવામાં આવશે અને ફરિયાદોના નિકાલની પ્રગતિ પર પણ સતત નજર રાખવામાં આવશે.
ગૃહ વિભાગના આ નિર્ણયને કારણે પોલીસ સંબંધિત ફરિયાદોના નિરાકરણમાં ઝડપ આવશે તેમજ નાગરિકો અને પોલીસ તંત્ર વચ્ચે વિશ્વાસ વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *