500 કરોડના મેગા મિશનને લીલી ઝંડી: ગુજરાતમાં સર્વિસ કમિશનરેટ મોડલ લાગુ પડશે

Spread the love
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં ગુજરાતના શહેરી વિકાસ અને સેવા ક્ષેત્રને નવી દિશા આપતા બે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજ્ય સરકારે ‘ગુજરાત વાયર ફ્રી સિટી મિશન’ શરૂ કરવાની જાહેરાત કરી છે, જ્યારે સેવા ક્ષેત્રના વિકાસ માટે દેશનું પ્રથમ ‘સર્વિસ કમિશનરેટ’ સ્થાપવાની મંજૂરી પણ આપી છે.
2030 સુધી તમામ શહેરી વિસ્તારો બનશે વાયર ફ્રી રાજ્ય સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગ્રીન અને સ્માર્ટ સિટી વિઝનને આગળ વધારતા ‘ગુજરાત વાયર ફ્રી સિટી મિશન’ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે.
મિશનના પ્રથમ તબક્કા માટે 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.આ યોજના હેઠળ રાજ્યની તમામ 17 મહાનગરપાલિકા અને 151 નગરપાલિકા વિસ્તારોમાં હાલના ઓવરહેડ વીજ વિતરણ નેટવર્કને તબક્કાવાર રીતે ભૂમિગત કેબલમાં ફેરવવામાં આવશે.
45,000 કિમી લાઈનના નેટવર્કને તબક્કાવાર અન્ડરગ્રાઉન્ડ કરાશે
વાયર ફ્રી સિટીના મિશન બાબતે માહિતી આપતા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વાયર ફ્રી મિશન અંતર્ગત શહેરોમાં હાલ અસ્તિત્વ ધરાવતા ઓવરહેડ વીજ વિતરણ નેટવર્કને સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ એટલે કે, ભૂમિગત કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવામાં આવશે.
જેમાં 14,600 સર્કિટ કિલોમીટરથી વધુ હાઈ ટેન્શન ઓવરહેડ નેટવર્ક અને 31,400 સર્કિટ કિલોમીટરથી વધુ લો ટેન્શન ઓવરહેડ નેટવર્કને તબક્કાવાર અન્ડરગ્રાઉન્ડ કરાશે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 11 કે.વી. ઓવરહેડ લાઈનોને અને ત્યારબાદ લો ટેન્શન લાઈનોને અન્ડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતરિત કરવામાં આવશે.
દેશનું પ્રથમ ‘સર્વિસ કમિશનરેટ’ ગુજરાતમાં કેબિનેટે સેવા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે દેશભરમાં પ્રથમ વખત અલગ ‘સર્વિસ કમિશનરેટ’ ઉભું કરવાનો નિર્ણય લીધો છે. જેમ ઉદ્યોગો માટે કમિશનરેટ કાર્યરત છે, તેમ હવે ટુરિઝમ, આઈટી સહિતના સેવા ક્ષેત્રોના વિકાસ, નીતિ ઘડતર અને રોકાણ આકર્ષવા માટે આ કમિશનરેટ કાર્ય કરશે. સરકારના જણાવ્યા મુજબ આ પગલાથી રોજગારીની નવી તકો ઊભી થશે અને રાજ્યના જીડીપીમાં પણ વધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *