*ખેડૂતોને આર્થિક રીતે વધુ સદ્ધર બનાવવા દરેક ખેડૂતને ઓછામાં ઓછા બે પશુધન પૂરા પાડવા સૂચન કરતા કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ*
દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા ૩-૪ ગામ દીઠ કલસ્ટર શાળા બનાવવા તથા ૭૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને તાત્કાલિક PMJAY કાર્ડ આપવા આદેશ કરતા શ્રી અમિતભાઈ શાહ
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતે જિલ્લા વિકાસ સમન્વય અને દેખરેખ સમિતિ ‘દિશા’ ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત વિવિધ ફ્લેગશિપ યોજનાઓની પ્રગતિ અને જિલ્લાના વિકાસ કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લાઓમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોના અમલીકરણ પર દેખરેખ રાખવા માટે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા દિશા સમિતિઓની રચના કરવામાં આવી છે. વિકાસ કાર્યક્રમોની પ્રગતિ પર મોનીટરીંગ, તેનો કાર્યક્ષમ અને અસરકારક રીતે અમલ થાય તે સુનિશ્ચિત કરવામાં દિશા સમિતિઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
શ્રી અમિતભાઈ શાહે તમામ વિભાગોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરીને જણાવ્યું હતું કે, જિલ્લાના ખાતેદાર ખેડૂતોને આર્થિક રીતે વધુ સધ્ધર બનાવવા અને ‘એક પણ ખેડૂત પશુધન વગરનો ન રહે તે માટે તેમણે ત્વરિત સર્વે કરીને દરેક ખેડૂત ખાતેદારને ઓછામાં ઓછા બે પશુધન પૂરૂ પાડવા માટે સૂચન કર્યું હતું.
શ્રી શાહે વરસાદ ખેંચાવાના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા તાત્કાલિક કન્ટીજન્સી પ્લાન તૈયાર કરવા અને બિન પિયત વિસ્તારનો સર્વે હાથ ધરી વિગતો તૈયાર કરવા પણ સૂચના આપી હતી.
શ્રી શાહે સેકન્ડરી વિભાગમાં દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે ત્રણ-ચાર ગામનું એક કલસ્ટર બનાવીને નવી શાળાનું નિર્માણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતું. તેમણે જિલ્લામાં વિદ્યાર્થીઓમાં વાંચનનું પ્રમાણ વધે તે માટે નવનિર્મિત લાયબ્રેરીઓ વિશે જાગૃતિ લાવવા અને આ નવીન લાયબ્રેરીઓને જિલ્લાકક્ષાની મુખ્ય લાયબ્રેરી સાથે કનેક્ટ કરવા જણાવ્યું હતું.
આ ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં ઘરેલુ ગેસ જોડાણ, શૌચાલય, પીવાના તથા સિંચાઈના પાણીની સુવિધા, તેમજ વીજળીની સુવિધા વગરના જે ગામો હોય એનો તાત્કાલિક સર્વે કરાવીને રિપોર્ટ તૈયાર કરવા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
શ્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના સંદર્ભે ‘ગામ’ શબ્દની વ્યાખ્યા વધુ સ્પષ્ટ કરવા અને ઓછામાં ઓછા ૩૫ થી વધુ ઘર હોય અને વીજ જોડાણ ધરાવતા હોય તેવા પરા/વિસ્તારોને ધોરણોમાં નિયત કરવા જણાવ્યું હતું.
શ્રી શાહે તેમણે જિલ્લાના ૭૦ વર્ષથી ઉપરના તમામ વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત યોજના હેઠળના કાર્ડ વિના વિલંબ સત્વરે મળી રહે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવા કડક સૂચનાઓ આપી હતી.
આ ઉચ્ચ સ્તરીય “દિશા” બેઠકમાં સાંસદશ્રી હસમુખભાઈ પટેલ અને શ્રી હરિભાઈ પટેલ, ધારાસભ્યો સર્વ શ્રી રીટાબેન પટેલ, શ્રી અલ્પેશભાઈ ઠાકોર, શ્રી બલરાજસિંહ ચૌહાણ, શ્રી જયંતીભાઈ પટેલ તેમજ ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હસરત જાસ્મીન સહિતના વરિષ્ઠ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહભાગી થયા હતા.
