આ છે ભારતનું ‘સાઇલેન્ટ વિલેજ’, અહીં મોટાભાગના લોકો ન તો બોલી શકતા કે ન તો સાંભળી શકતા! જાણો શું છે કારણ

Spread the love

ભારતના સુંદર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાની બરફીલા પહાડોની વચ્ચે એક એવું ગામ આવેલું છે, જેની કહાની કોઈને પણ હેરાન કરી શકે છે. આ ગામનું નામ છે ધદકઈ. આમ તો આ ગામની કુદરતી સુંદરતા જોવા લાયક છે, પરંતુ તેને આખી દુનિયામાં એક અલગ અને અનોખા નામે ઓળખવામાં આવે છે- ‘ધ સાઇલેન્ટ વિલેજ ઓફ ઇન્ડિયા’ એટલે કે ભારતનું શાંત ગામ.આ ગામની સૌથી મોટી ખાસિયત એ છે કે, અહીં માત્ર સન્નાટો છવાયેલો નથી રહેતો, પરંતુ અહીંનો સન્નાટો પણ વાતો કરે છે. આ નાના એવા ગામમાં રહેતા લોકોની એક મોટી વસ્તી ન તો સાંભળી શકે છે અને ન તો બોલી શકે છે. ચાલો જાણીએ આ અનોખા ગામની કહાની, તેનો ઇતિહાસ અને તેની પાછળનું ચોંકાવનારું વૈજ્ઞાનિક કારણ.

 

શું છે ધદકઈ ગામની હકીકત?

ધદકઈ ગામ જમ્મુથી લગભગ 260 કિલોમીટર દૂર પહાડોમાં આવેલું છે. આ ગામમાં મુખ્યત્વે ગુજ્જર મુસ્લિમ સમુદાયના લોકો રહે છે, જે એક અનુસૂચિત જનજાતિ (ST) છે. ગામની કુલ વસ્તી લગભગ 2,000ની આસપાસ છે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, આ નાના ગામમાં 90થી વધુ લોકો સંપૂર્ણપણે મૂક-બધિર છે એટલે કે તેઓ ન તો બોલી શકે છે અને ન તો સાંભળી શકે છે.

 

અહીં રહેતા 105 પરિવારોમાંથી 55થી વધુ પરિવારો એવા છે, જેમના ઘરમાં ઓછામાં ઓછો એક અથવા તેથી વધુ સભ્યો ન તો સાંભળી શકે છે અને ન તો બોલી શકે છે. કેટલાક પરિવારો તો એવા પણ છે, જ્યાં 7 બાળકોમાંથી 6 બાળકો મૂક-બધિર જન્મ્યા છે. આ ગામના લોકોએ પોતાની એક લોકલ સાઇન લેંગ્વેજ (ઈશારાની ભાષા) વિકસાવી લીધી છે. ખાસ વાત એ છે કે, જે લોકો સાંભળી અને બોલી શકે છે, તેઓ પણ આ ઈશારાની ભાષા એટલી સારી રીતે જાણે છે કે આખું ગામ કોઈપણ અડચણ વગર એકબીજા સાથે વાતો કરી શકે છે.ગામના વડીલો અને રેકોર્ડ્સ મુજબ, આ ગામમાં મૂક-બધિર બાળકના જન્મનો પહેલો કિસ્સો વર્ષ 1901માં સામે આવ્યો હતો, જ્યારે ફૌજી ગુજ્જર નામના વ્યક્તિના ઘરે પુત્રનો જન્મ થયો જે સાંભળી કે બોલી શકતો નહોતો.

 

ત્યારબાદ ધીમે-ધીમે આ સંખ્યા વધતી ગઈ

વર્ષ 1990: મૂક-બધિર લોકોની સંખ્યા 43 હતી.

વર્ષ 2007: આ સંખ્યા વધીને 79 થઈ ગઈ.

હાલની સ્થિતિ: હવે ગામમાં 90થી વધુ લોકો આ સ્થિતિમાં જીવન જીવી રહ્યા છે, જેમાં મહિલાઓની સંખ્યા પુરુષો કરતાં વધુ છે.

 

આખરે કેમ આ ગામમાં ગુંજે છે ‘ખામોશી’?

વર્ષો સુધી ગામના લોકો આને ભગવાનનો કોઈ શ્રાપ, નસીબ અથવા ત્યાંના પાણી અને માટીની અસર માનતા રહ્યા. પરંતુ જ્યારે વૈજ્ઞાનિકો અને ડોક્ટરોની ટીમોએ આના પર રિસર્ચ કર્યું, ત્યારે એક ખૂબ જ ચોંકાવનારું મેડિકલ કારણ સામે આવ્યું. મેડિકલ સાયન્સમાં આને ‘જેનેટિક ક્લસ્ટર’ અથવા ‘ફાઉન્ડર્સ ઇફેક્ટ’ કહેવામાં આવે છે.

 

ઇનબ્રીડિંગ અને એન્ડોગેમી

ગુજ્જર સમુદાયના લોકો સદીઓથી પોતાની જ જનજાતિ અને નજીકના સંબંધીઓમાં જ લગ્ન કરતા આવ્યા છે. જ્યારે એક જ નાના જેનેટિક પૂલ (DNA બંધારણ)ના લોકો એકબીજા સાથે લગ્ન કરે છે, ત્યારે તેમના જીન્સમાં છુપાયેલી ખામીઓ આગામી પેઢીમાં ઉભરીને સામે આવી જાય છે.

 

OTOF જીનની ખામી

વૈજ્ઞાનિકોએ જ્યારે ગ્રામજનોના લોહીના સેમ્પલ લીધા તો જાણવા મળ્યું કે, તેમના શરીરમાં OTOF (Otoferlin) નામના જીનમાં ખામી છે. આ જીન આપણા કાનની અંદરના ભાગથી મગજ સુધી અવાજના સિગ્નલ મોકલવાનું કામ કરે છે. જ્યારે માતા અને પિતા બન્ને દ્વારા બાળકમાં આ ખામીયુક્ત જીન પહોંચે છે, ત્યારે બાળક જન્મથી જ બહેરૂં અને મૂંગું પેદા થાય છે.ડોક્ટરો અને વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ આનુવંશિક બીમારીને રોકવાનો એકમાત્ર ઉપાય એ જ છે કે ગામના યુવાનો પોતાની કોમ્યુનિટી અથવા સંબંધીઓથી બહાર લગ્ન કરવાનું શરૂ કરે. આ ઉપરાંત વૈજ્ઞાનિકોએ ‘કલર-કોડેડ કાર્ડ્સ’ બનાવવાનું પણ સૂચન કર્યું છે જેથી લગ્ન પહેલા પાર્ટનર્સના જેનેટિક રિસ્ક (25% થી 100% સુધી)ને માપી શકાય અને આવનારી પેઢીને આ શાંતિના ચક્રવ્યૂહમાંથી બચાવી શકાય.

 

હાલના વર્ષોમાં ભારતીય સેના અને કેટલીક સામાજિક સંસ્થાઓની મદદથી અહીંના યુવાનોને ‘ઇન્ડિયન સાઇન લેંગ્વેજ’ શીખવવાના અને મુખ્ય પ્રવાહ સાથે જોડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે, જે આ શાંત ખીણમાં આશાનું એક નવું કિરણ બની રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *