ઘર ખરીદવા, અભ્યાસ કરવા અને વ્યવસાય શરૂ કરવા માટે સોનું વેચવું!

Spread the love

ભારતીય સંસ્કૃતિમાં સોનાને હંમેશા એક પવિત્ર ધાતુ, પારિવારિક પ્રતિષ્ઠાનું પ્રતીક અને મુશ્કેલ સમયની પરમ મિત્ર માનવામાં આવે છે. સદીઓથી આપણા દેશમાં સોનાના દાગીના ખરીદીને તેને બેંકના લોકરમાં કાયમ માટે સાચવી રાખવાની એક પરંપરા રહી છે., વર્તમાન સમયના જનરેશન ઝેડ (Gen Z) અને મિલેનિયલ્સ એટલે કે આજની નવી પેઢીએ આ જૂની માનસિકતાને સંપૂર્ણપણે બદલી નાખી છે. હવે યુવાનો સોનાને ફક્ત કબાટ કે લોકરમાં રાખવાના ઘરેણાં તરીકે નહીં, પરંતુ જીવનના મોટા લક્ષ્‍યોને પૂરા કરવા માટેના એક સક્રિય ‘રોકાણ સાધન’ તરીકે જોઈ રહ્યા છે. પોતાનું સપનાનું ઘર ખરીદવું હોય, વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવું હોય, નવો સ્ટાર્ટઅપ વ્યવસાય શરૂ કરવો હોય કે શેરબજારમાં રોકાણ કરવું હોય – આ તમામ માટે યુવા પેઢી પોતાના વારસાગત ઘરેણાં વેચવામાં જરાય અચકાતી નથી. આ નવા ટ્રેન્ડે દેશમાં સોનાના રિસાયક્લિંગના બિઝનેસને એક નવી જ ગતિ આપી છે.

 

નવી મુંબઈના દંપતીએ બદલ્યું પરંપરાગત ગણિત

 

આ બદલાવને સમજવા માટે મુંબઈના એક યુવાન દંપતી રીતુ અને મદન પાટીલ (નામ બદલ્યા છે) નો કિસ્સો શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ ૨૦ વર્ષીય દંપતીના પરિવારના ભારે સોનાના હાર અને બંગડીઓ વર્ષોથી બેંકના લોકરમાં માત્ર એક યાદ બનીને પડ્યા હતા. તેમણે એક પ્રાયોગિક નિર્ણય લઈને તે વારસાગત ઘરેણાં વેચી દીધા, જેનાથી તેમને આશરે ૨૦ લાખ રૂપિયાની મોટી રકમ મળી. આ રકમનો ઉપયોગ તેમણે નવી મુંબઈમાં પોતાના પહેલા ઘરનું ડાઉન પેમેન્ટ ચૂકવવા માટે કર્યો. પરિણામે, તેમની માસિક હોમ લોનના ઇએમઆઇ (EMI) માં સીધો ૨૦,૦૦૦ રૂપિયાનો ઘટાડો થયો અને બચેલા નાણાંથી તેઓ પોતાની લાઈફસ્ટાઈલ પણ સુધારી શક્યા. મુથૂટ એક્ઝિમના સીઈઓ કેયુર શાહના જણાવ્યા અનુસાર, નવી પેઢી માટે જીવનના વ્યવહારિક લક્ષ્‍યો વધુ મહત્વના છે અને તેમના માટે જૂના દાગીના હવે માત્ર ભાવનાત્મક વસ્તુ રહ્યા નથી.પોપલી ગ્રુપના ડિરેક્ટર રાજીવ પોપલી આ ટ્રેન્ડ અંગે જણાવે છે કે હાલમાં તેમના સ્ટોર્સમાં આવતા ગ્રાહકોમાંથી લગભગ ૭૦ થી ૭૫ ટકા લોકો જૂના સોનાને બદલીને નવી, આધુનિક અને હળવા વજનની ડિઝાઇનમાં ફેરવી રહ્યા છે. એક અંદાજ મુજબ, ભારતીયોના ઘરોમાં અને બેંક લોકર્સમાં ૧ લાખ ટનથી વધુ સોનું બિનઉપયોગી અવસ્થામાં પડ્યું છે. અત્યાર સુધી આ સોનાનો ખૂબ જ નાનો ભાગ રિસાયક્લિંગ માર્કેટમાં આવતો હતો, પરંતુ હવે યુવાનો સોનાના રેકોર્ડબ્રેક ભાવોનો લાભ લેવા માટે આ સોનું બજારમાં લાવી રહ્યા છે.

 

ઘરેણાં પ્રત્યે મોહભંગ: ICRA નો ચોંકાવનારો અહેવાલ

 

વિશ્વના સૌથી મોટા સોનાના બજાર ગણાતા ભારતમાં હવે લોકોની ખરીદીની પેટર્ન બદલાઈ રહી છે. રેટિંગ એજન્સી ICRA ના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન પરંપરાગત સોનાના દાગીનાની માંગમાં (વોલ્યુમની દ્રષ્ટિએ) ૨૧ ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો. તેની સામે, શુદ્ધ સોનાના બાર (બિસ્કિટ) અને સોનાના સિક્કામાં રોકાણ કરવાનો ટ્રેન્ડ આશરે ૨૨ ટકા જેટલો વધ્યો છે. આ આંકડા સ્પષ્ટ સાબિત કરે છે કે યુવાનો હવે ઘરેણાં બનાવવા પાછળ વેડફાતા મેકિંગ ચાર્જીસ અને જીએસટી (GST) નો ખર્ચ બચાવીને સીધું જ ડિજિટલ ગોલ્ડ, ગોલ્ડ ETF અથવા સોનાના સિક્કામાં રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે.શિક્ષણ, શેરબજાર અને ટાઇટન કંપનીને મોટો ફાયદો

 

બેંગલુરુની એક ૨૫ વર્ષીય બેંક કર્મચારી મહિલાએ સોનાના રેકોર્ડ ભાવોનો ફાયદો ઉઠાવી પોતાના વારસાના દાગીના વેચીને તે નાણાં શેરબજારના મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકી દીધા, જ્યાં તેને વધુ સારું વળતર મળી રહ્યું છે. તે જ રીતે, બેંગલુરુના અન્ય એક પરિવારે પોતાના લોકરમાંથી સોનું વેચીને આશરે ૮૦ લાખ રૂપિયા એકઠા કર્યા, જેનાથી તેમના પુત્રને યુએસ (US) માં માસ્ટર ડિગ્રી મેળવવામાં અને પિતાને નવો ફૂડ પ્રોસેસિંગ બિઝનેસ શરૂ કરવામાં મદદ મળી.

 

આ નવા ટ્રેન્ડનો સીધો ફાયદો ટાઇટન કંપનીના તનિષ્ક જેવા મોટા જ્વેલરી બ્રાન્ડ્સને મળી રહ્યો છે. છેલ્લા માત્ર નવ મહિનામાં તનિષ્ક સ્ટોર્સ પર ૫ લાખથી વધુ ગ્રાહકોએ ૧૧,૦૦૦ કિલોગ્રામથી વધુ જૂનું સોનું એક્સચેન્જ કર્યું છે. આનાથી દેશની અર્થવ્યવસ્થાને પણ ફાયદો થશે, કારણ કે સોનાનું ઘરેલું રિસાયક્લિંગ વધવાથી ભારતની વિદેશી સોનાની આયાત પરની નિર્ભરતા ઘટશે.

 

શું સોના સાથેનો સદીઓ જૂનો સંબંધ તૂટી જશે?

 

સામાજિક અને આર્થિક વિશ્લેષકો માને છે કે ભલે યુવાનોની રોકાણની માનસિકતા બદલાઈ રહી હોય, પરંતુ ભારતીય લગ્નો, તહેવારો અને ધાર્મિક વિધિઓમાં સોનાનું પરંપરાગત અને ભાવનાત્મક મહત્વ હંમેશા જળવાઈ રહેશે. જો કે, જે સોનું દાયકાઓ સુધી લોકરમાં બંધ રહીને માત્ર ધૂળ ખાતું હતું, તે હવે યુવા પેઢી માટે આર્થિક સ્વતંત્રતા મેળવવાનું અને સપના સાકાર કરવાનું એક જીવંત માધ્યમ બની ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *