સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાતમાં પ્રચાર-પ્રસારનો દૌર ચાલી રહ્યો છે. ત્યારે જે ઉમેદવારોને ટિકિટ નથી મળી રહી છે, તેઓ પક્ષ છોડીને બીજા પક્ષમાં પણ જઇ રહ્યા છે. ત્યારે તેનાથી વિપરીત સુરતમાં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ડૉક્ટર પ્રીતિને AAPમાંથી ટિકિટ મળી હોવા છતા રાજીનામું ધરી દીધું છે અને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. AAP એ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે અત્યાર સુધીમાં 98 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે , તેમાંથી કેટલાક વિવાદિત નામો હોવાથી પાર્ટી માટે કમર કસનારા કાર્યકર્તાઓમાં અંદરખાને ભારે રોષ જોવા મળી રહ્યો છે.
AAPએ ડૉ. પ્રીતિને વોર્ડ નંબર-12માંથી ઉમેદવાર જાહેર કર્યા હતા, પરંતુ પક્ષમાં આંતરિક અસંતોષ અને મતભેદોને કારણે તેમણે રાજીનામું આપી દીધું છે પ્રીતિ સદાદિયા સાથે સાથે જ 500 જેટલા સક્રિય કાર્યકરોએ સામુહિક રીતે પક્ષ છોડી કોંગ્રેસમાં સામેલ થયા છે. હવે કોંગ્રેસે તેમના પર ભરોસો મૂકીને સત્તાવાર રીતે ઉમેદવાર જાહેર કર્યા છે. ડૉક્ટર. પ્રીતિ વ્યવસાએ હોમિયોપેથીક ડોક્ટર છે અને તેમની સામાજિક પકડને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે તેમને ટિકિટ આપી હોવાનું મનાય છે.
ડૉ. પ્રીતિ સદાદીયાએ જણાવ્યું હતું કે, ‘હું લગભગ રાજકારણમાં છેલ્લા છ-સાત વર્ષથી AAP જોડાયેલી હતી અને 2021માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી દ્વારા ઉમેદવારી કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી AAPમાં તન, મન, ધનથી મેં લોકોની સેવા કરી છે અને ડૉક્ટરી સેવા પણ આપી છે. એટલે મારા વિસ્તારના જે લોકો મારા ચાહકો છે એ લોકોની એવી ઈચ્છા હતી કે એમના વિસ્તારમાંથી હું ચૂંટાઈને આવું. પરંતુ AAPએ સમાનતા નહીં પરંતુ સારા લોકો સાથે દગો કર્યો છે. આજ રોજથી કોંગ્રેસ પાર્ટી, રાહુલ ગાંધીના વિચારોથી હું પ્રભાવિત થઈને જે વિચારો સમાનતાના, માનવ સેવાના વિચારો છે, તેનાથી પ્રભાવિત થઈને હું કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ રહી છું.’
ટિકિટ મળવા છતા રાજીનામું આપનાર પ્રીતિ સદાદિયાએ પોતાના રાજીનામાના પત્રમાં AAP વિરુદ્ધ આક્ષેપ કર્યા છે કે, છેલ્લા કેટલાક સમયથી પાર્ટીના સ્થાનિક મોવડી મંડળ દ્વારા લેવામાં આવતા નિર્ણયોથી હું અત્યંત નિરાશ છું, મારા નૈતિક મૂલ્યો અને પાર્ટીની હાલની દિશા વચ્ચે સ્પષ્ટ તફાવત જણાય છે, કારણકે દિલ્હીથી આવેલા સહયોગીઓ તથા પાર્ટીના બની બેઠેલા નોન સેન્સ હોદ્દેદારો માત્ર ફંડ ઉઘરાવામાં જ માને છે. જેથી હું AAPના પ્રાથમિક સભ્યપદ વોર્ડ બ્લોક ઇન્ચાર્જ પદ તથા ફાળવવામાં આવેલી વોર્ડ નંબર 12ની ટિકિટનો અસ્વીકાર કરી રાજીનામુ આપી રહી છું. જેની લગતા વળગતાઓએ નોંધ લેવી.’
બીજી તરફ ડૉક્ટર નીતા બલદાણીયા અને અશોક બલરે પણ AAPમાંથી રાજીનામું આપી દીધું છે. અશોક બલરે પોતાના રાજીનામાને લઈને જણાવ્યું હતું કે, વોર્ડ નંબર-5ની ઉમેદવાર પસંદગી સામે આંગળી ચીંધી છે. તેમના જણાવ્યા મુજબ પક્ષ દ્વારા એવા વ્યક્તિને ટિકિટ આપવામાં આવી રહી છે. જે અગાઉ ‘AAP’ના ઉમેદવાર સામે જ હાર્યા હતા. સંબંધિત વ્યક્તિ 2022ની વિધાનસભા ચૂંટણી બાદ પક્ષ છોડીને જતા રહ્યા હતા, તેમ છતા તેમને ફરીથી પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે, જો પક્ષે ‘નળિયાચોર’ કે ચારિત્રહીન લોકોને જ ટિકિટ આપવી હોય, તો અમે આવા રાજકારણનો હિસ્સો બનવા માંગતા નથી.
જ્યારે પક્ષ પોતાના મૂળ રસ્તા પરથી ભટકી રહ્યો હોય ત્યારે પદ પર વળગી રહેવાનો કોઈ અર્થ નથી. હવે પછીની રણનીતિ અને ચૂંટણી લડવી કે કેમ, તે અંગેનો નિર્ણય આગામી સમયમાં સોશિયલ મીડિયાના માધ્યમથી જ જનતા સમક્ષ મૂકવામાં આવશે.
ડૉ. નીતા બલદાણીયા જણાવ્યું હતું કે, ‘હું પાર્ટીની મૂળ વિચારધારા અને સમાજ સેવાના ઉદ્દેશ સાથે જોડાઈ હતી. પરંતુ હાલ સુરત શહેરની સ્થાનિક રાજકીય સ્થિતિ અને પાર્ટીની કાર્ય પધ્ધતિમાં જે પરિસ્થિતિ ઉભી થઇ છે તે મારા મૂલ્યો અને આશા ઓ સાથે મેળ ખાતી નથી. સ્થાનિક સ્તરે સંકલનનો અભાવ, કાર્યકર્તાઓ સાથે યોગ્ય સંવાદનો અભાવ અને નિર્ણયઓ લેવામાં પારદર્શિતાનો અભાવ અનુભવાયો છે. જેના કારણે કાર્યકર્તા તરીકે કાર્ય કરવું મુશ્કેલ બની રહ્યું છે. મારા માટે સેવા અને ટીમવર્ક મહત્ત્વપૂર્ણ છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં તે મુજબ કાર્ય કરવાની તક મળી રહી નથી. આ કારણે હું પાર્ટીમાં મારી ઉપર સોંપવામાં આવેલી તમામ જવાબદારીઓ તેમજ કાર્યકર્તા તરીકે જ પદ પરથી તત્કાલ અસરથી રાજીનામુ આપી રહી છું.’
AAPએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે અત્યાર સુધીમાં 98 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, પૈકી કેટલાક વિવાદિત નામો હોવાથી પાર્ટી માટે કમર કસનારા કાર્યકર્તાઓમાં અંદરખાને ભારે નારાજગી છે. આ વિવાદ વચ્ચે AAPએ બીજી ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. તેમાં પણ વિવાદોમાં ઘેરાયેલાઓને ટિકિટ અપાતા કાર્યકર્તાઓમાં ભારે નિરાશા ફેલાઇ ગઇ હતી. એટલું જ નહીં, પરંતુ ગત યાદીમાં કેટલાક નામો સામે વિરોધ ઊભા થતા બે ઉમેદવારોના નામ રદ કરી અન્ય બેને ટિકિટ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગર પાલિકાની ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરવાની સાથે જ વિવાદમાં ઘેરાયેલી આપ પાર્ટી દ્વારા બીજી યાદીમાં બે નામો સુધારવાની ફરજ પડી હતી. પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવેલી બીજી યાદીમાં વોર્ડ નંબર-4માં સેજલ માલવિયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી હતી. જ્યારે વોર્ડ નંબર-13માં જતીન જરીવાલાને ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ કેટલાક અગ્રણીઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવતા છેલ્લી ઘડીએ સેજલ માલવિયાની જગ્યાએ કુંદન કોઠિયા અને જતીન જરીવાલની જગ્યાએ સુશાંત કાપડિયાના નામ જાહેર કરાયા હતા.